કરજણના નારેશ્વરમાં નર્મદા નદીમાં ન્હાવા પડેલા બે યુવાનોના ડૂબી જતા કરૂણ મોત
મોતને ભેટનાર બંને યુવાનો સુરતના કોસંબા ગામના પટેલ ફળીયામાં રહેતા હતા
કરજણના નારેશ્વર ખાતે નર્મદા નદીમાં ન્હાવા પડેલા બે યુવાનોના ડૂબી જતા કરૂણ મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.
મળતી વિગત મુજબ સુરતના કોસંબા ગામના પાંચ જેટલા યુવાનો હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું હોઇ કરજણના નારેશ્વર ખાતે ફરવા આવ્યા હતા. નારેશ્વર ખાતે આવેલી નર્મદા નદીમાં ન્હાવા પડેલા બે યુવાનો પાણીના પ્રવાહમાં ખેંચાઇ જતા બંને યુવાનોના ડૂબી જતા કરૂણ મોત નિપજ્યા હતા
સર્જાયેલી કરૂણાંતિકામાં મોતને ભેટનાર બંને યુવાનો સુરતના કોસંબા ગામના પટેલ ફળીયામાં રહેતા હોવાની માહિતી મળી છે
. કાળનો કોળિયો બનનાર બંને યુવાનોના નામ પ્રવિણ ગોપાલ કડિયા (ઉ.વ. ૨૨ )તેમજ નવગણ બાબર રબારી (ઉ.વ. ૧૫) હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતા ૧૦૮ તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે બંને યુવાનોના મૃતદેહોને સ્થાનિક તરવૈયાઓ દ્વારા બહાર કઢાવી પીએમ અર્થે કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા. ઘટનાને પગલે લોકટોળા નદી નજીક એકત્ર થયા હતા. ઘટના સંદર્ભે કરજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.