ગુજરાત
News of Thursday, 31st October 2019

નારેશ્વર ફરવા ગયેલા પાંચ મિત્રો નર્મદા નદીમાં ન્હાવા માટે ગયાઃ ૨ ડૂબ્યા-૩નો બચાવઃ તમામ યુવકો તરસાલીના કોસંબાના વતની

વડોદરા :પ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વર ખાતે વહી રહેલા નર્મદા નદીમાં 5 મિત્રો ન્હાવા માટે ગયા હતા. જેમાંથી બે યુવકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. તો સ્થાનિક લોકો ત્રણ યુવકોને બચાવવામાં સફળ રહ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ કરી 2 યુવાનોના મૃતદેહો નદીમાં બહાર કાઢ્યા હતા. તમામ યુવકો તરસાલીના કોસંબાના વતની છે. જેઓ વેકેશન હોવાને કારણે નારેશ્વર મંદિર ગયા હતા, અને ત્યાર બાદ નદીમાં ન્હાવા માટે ગયા હતા.

આ બાબતની જાણ થતા જ કરજણ પોલીસ દોડતી થઈ હતી. તેમજ યુવકોના પરિવારોને જાણ કરવામાં આવી હતી. તરસાલી કોસંબાના પટેલ પાર્કમાં રહેતા નવઘણ બાબરભાઈ રબારી (ઉંમર 17 વર્ષ) અને પિન્ટુભાઈ ગોપાલભાઈ ટાંક (ઉંમર 31 વર્ષ)નું ડૂબી જવાથી મોત નિપજ્યું છે.

(5:31 pm IST)