ગુજરાત
News of Friday, 31st August 2018

કઠલાલના ભાનેરમાં બે પરિવારો બાખડ્યા: ત્રણ વિરુધ્દ ફરિયાદ

કઠલાલ: તાલુકાના ભાનેર તાબે ભવાનપુરામાં ઘર પાસે ગંદકી કરવા પ્રશ્ને તળપદા પરિવારો વચ્ચે ઝઘડો થતાં એકને ધારીયુ મારીને ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. આ અંગે ત્રણ ઈસમો સામે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ભાનેરના ભવાનપુરામાં રહેતા શોભનાબેન વિજયભાઈ તળપદાની દીકરી પુંજા ગઈકાલે સવારે રાજેશભાઈના ઘરની દીવાલ નજીક સંડાસ કરવા બેઠી હતી. આ ગંદકીને લઈ રાજેશભાઈ અને જ્યોતિબેનેે ઘર આગળ ગંદકી ન કરવાનો ઠપકો આપ્યો હતો. જેથી વિજયભાઈ તળપદા અને શોભનાબેન વિજયભાઈ તળપદાએ રાજેશભાઈ અને જ્યોતિબેનને ગમે તેમ ગાળો બોલી ઉશ્કેરાઈ જઈ છાપરામાંથી ધારિયું લઈ રાજેશભાઈને મારી ઈજા કરી હતી જ્યારે નવધણભાઈ ગોકળભાઈ તળપદાએ નનુભાઈ શંકરભાઈ તળપદાને ગડદાપાટુ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 
આ બનાવ અંગે નનુભાઈ શંકરભાઈ તળપદાની ફરિયાદ આધારે કઠલાલ પોલીસે વિજય નવધણભાઈ, શોભના બેન વિજયભાઈ તથા નવધણભાઈ ગોકળભાઈ તળપદા સાથે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:27 pm IST)