નડિયાદમાં અગાઉ વરસાદના પાણી ભરાવા બાબતે ભાભીને જીવતી સળગાવી દેનાર દિયરને અદાલતે આજીવન કેદની સુનવણી કરી
નડિયાદ : નડિયાદ સેશન્સ કોર્ટે એક વરસ અગાઉના હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો છે. ગળતેશ્વર તાલુકાના છિંકારીયા ભાથીજી મંદિર પાસે વરસાદી પાણી ભરાવવા અંગે ઝઘડો થયો હતો. જેમાં મરણજનાર મહિલાના ઘરનુ મોભ તુટી ગયુ હતુ જેના કારણે વરસાદનુ પાણી ઘરમાં ભરાયુ હતુ.
જે અંગે મહિલાના દિયર ડાહ્યાભાઇ ઉર્ફે ડાહ્યાલાલ માલાભાઇ પરમાર ગત તા.૨૭-૦૬-૨૦૧૯ ના રોજ ઠપકો આપ્યો હતો. જેથી ડાહ્યાભાઇ મહિલાને ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. જેથી મહિલાએ ગાળો બોલવાની ના પાડતા ડાહ્યાભાઇ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને ઘરમાં રહેલ કેરોસીન ભરેલુ ડબલુ લઇ આવી મહિલાના શરીરે પર છાંટી દિવાસળી ચાંપી હતી. જેથી મહિલા શરીરે ગંભીર રીતે દાજી જતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે સેવાલિયા સી.એચ.સી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાથી વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યા મહિલાનુ તા.૩૦-૬-૨૦૧૯ ના રોજ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવ અંગે સેવાલિયા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આજરોજ આ કેસ નડિયાદ સેસન્સ કોર્ટમાં ચાલી જતા સત્તર દસ્તાવેજી પૂરાવા તથા ઓગણીસ જેટલા સાહેદોની જૂબાની લેવામાં આવી હતી.વળી સરકારી વકીલ રાહુલ જી બ્રહ્મભટ્ટે કોર્ટ સમક્ષ ્ર દલીલો કરી હતી, જે માન્ય રાખી આરોપી ડાહ્યાભાઇ ઉર્ફે ડાહ્યાલાલ માલાભાઇ પરમારને ગુનેગાર ઠેરવ્યો હતો. કોર્ટે આરોપી ડાહ્યાભાઇને ઇ.પી.કો કલમ ૩૦૨ના ગુનામાં આજીવન કેદની સજા અને રૂા.૫,૦૦૦ દંડ,દંડ ન ભરે તો વધુ એક વર્ષની વધુ કેદની સજાનો હુકમ કર્યો છે.