નર્મદા જિલ્લાની કોવીડ હોસ્પિટલમાંથી 2 દર્દીઓ સાજા થતા રજા અપાઈ: જિલ્લામાં 3 દર્દી હજુ સારવાર હેઠળ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ના સંક્રમણ બાદ રાજપીપળાની આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં રાજપીપળા શહેરના દરબાર રોડ વિસ્તારનાં ૪૮ વર્ષિય દિપકભાઇ બી.રાવલ અને નાંદોદ તાલુકાના મયાસી ગામના ૧૦ વર્ષિય સાગર વસાવા કોરોના સામેનો જંગ જીતી જતાં આજે સવારે તેમને હોસ્પિટલ માંથી રજા અપાઇ હતી, ત્યારે સાજા થઇને પોતાના ઘરે જઇ રહેલાં આ દરદીઓને મેડીકલ સ્ટાફે શુભેચ્છાઓ પાઠવી હતી.
સિવીલ સર્જન ડૉ.જ્યોતિ ગુપ્તાએ માહિતી આપતા જણાવ્યું કે રાજપીપળા આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવીડ હોસ્પિટલમાં જિલ્લામાં આજદિન સુધી નોંધાયેલા કુલ-૧૮ પોઝિટીવ કેસો પૈકી આજે ૨ દરદી સાજા થતાં અત્યાર સુધી કુલ-૧૫ દરદીઓને રજા આપવામાં આવી છે.હાલ નર્મદા જિલ્લામાં ૩ એક્ટીવ દર્દી રાજપીપળા કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે
.સરકારની નવી ગાઇડલાઇન મુજબ ૧૦ દિવસમાં પેશન્ટને કોઇ તકલીફ ન હોઇ કે ટેસ્ટ કરવાની જરૂર ન જણાય તો રજા આપી શકાય છે તેથી આ બન્ને દરદીઓને રજા અપાઇ છે આ બંને દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ હોવાનું તેમણે જણાવ્યું હતું.