ગુજરાત
News of Tuesday, 31st March 2020

નડિયાદના કપડવંજ રોડ પર અગમ્ય કારણોસર ડોકટરે ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

નડિયાદ: શહેરના કપડવંજ રોડ પર આવેલ જલારામદિપ સોસાયટીમાં રહેતા બીએચએમએસ ડોક્ટરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે નડિયાદ શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

નડિયાદ ટાઉન પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ કપડવંજ રોડ પર આવેલ જલારામદિપ સોસાયટીમાં બંગલા નં.૭માં ડો.વિજયભાઇ આશાભાઇ પટેલ તેમના પરીવાર સાથે રહેતા હતા. તેમનો એક દીકરો અમેરીકામાં ડોક્ટર છે. જેથી તેઓ અને તેમના પત્ની અહીં રહેતા હતા. સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ થોડા સમય પહેલા તેમની માતાનું વૃધ્ધાવસ્થાને કારણે અવસાન થયુ હતુ. જે બાદ તેમના પરિવારની એક નાની બાળકીનું પણ અવસાન થયુ હતુ. ઉપરા-છાપરી પરીવારમાં દુ:ખદ ઘટનાઓ બનતા ડો.વિજયભાઇ માનસિક તાણમાં હતા. જેઓએ રવિવારે મોડી સાંજે ઘરે પત્ની હાજર ન હતા તે સમયે પંખા સાથે ગળા ફાસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. ઘટના અંગે તેમના પત્ની વિણાબેને નડિયાદ પોલીસે જાણ કરતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

(5:53 pm IST)