સલામ :અમદાવાદમાં લોકડાઉનમાં ફરજનિષ્ઠ પીઆઇ વાળાને ઘરે બંધાયું પારણું : હજુ નથી ઝુલાવ્યો હિંચકો
ખાખી પહેર્યા બાદ દેશ અને જનતાની સેવા જ સર્વોપરી , તેવી શપથને પીઆઇ વાળાએ ખરી સાબિત કરી
અમદાવાદ: વૈશ્વિક મહામારી કોરોનાના કહેર વચ્ચે લોકો પોલીસની નકારાત્મક કારાત્મક વાતો જ ધ્યાનમાં રાખતા હોય છે. ત્યારે એક એવા અધિકારીની હૃદયસ્પર્શી કહાની સામે આવી છે જે વાંચીને તમામ લોકોને ગુજરાત પોલીસ પર ગૌરવ થશે.
પીઆઇ વાળા પત્નીની સેવા કરવાની જગ્યાએ તે દિવસથી લઈને હાલ પણ લોકોની સેવામાં જોડાયેલા જ છે. પીઆઇ વાળાનું બાળક પ્રિમેચ્યોર હોવાથી હાલ પણ ડોક્ટરની નજર હેઠળ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યું છે. જ્યારે તેમના પત્નીની તબિયત સુધારા પર હોવાથી તેમને રજા અપાઈ છે. પણ ખાખીની અંદર રહેલો અધિકારી પણ માણસ છે. આવા સંજોગોમાં પિતૃ વાત્સલ્ય પણ તેઓને ઝંખે છે
ખાખી પહેર્યા બાદ દેશ અને જનતાની સેવા જ સર્વોપરી હોય છે તેવી શપથને પીઆઇ વાળાએ ખરી સાબિત કરી છે. કદાચ આવા સંજોગોમાં સામાન્ય માણસ પોતાના બાળક ને જોવા માટે તલપાપડ થઇ જાય છે. પરંતુ 2008માં રાજેન્દ્રસિંહ વાળાએ પોલીસ ખાતામાં ભરતી થયા તે વખતે શપથ લીધા હતા. જેમાં લોકોની સુરક્ષા, સલામતી અને સેવા સૌથી મોખરે હશે અને તે વચનને નિભાવવા આજે આ અધિકારી રોડ પર સવારથી રાત સુધી લોકોની સેવા કરી પોતાની ફરજ અદા કરી રહ્યા છે.
અમદાવાદનાં સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર રાજેન્દ્રસિંહ વાળાના ઘરે પાંચ દિવસ પહેલા પારણું બંધાયું. પીઆઇ વાળાનાં પત્નીએ બાળકને જન્મ આપ્યો હતો.
પીઆઈ આર એચ વાળા એ જણાવ્યું કે હાલ બાળકને હોસ્પિટલમાં રાખવામાં આવ્યું છે. ડોકટરના ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યું છે. પત્નીની તબિયત સુધારા પર હોવાથી તેમને રજા અપાઈ છે. હાલ હું આ પરિસ્થિતિ મા પરિવારને ભલે સમય નથી આપી શકતો પણ પરિવારના અન્ય સભ્યો તમામ મદદ કરી પત્ની અને બાળકનું ધ્યાન રાખી રહ્યા છે. આઠ વર્ષની પુત્રીને પણ હું સમય નથી આપી શકતો. પણ દેશની આ પરિસ્થિતિમાં લોકોની સેવા કરવી એ અગત્યનું હોવાથી દિવસ રાત રોડ પર જ ફરજ નિભાવુ છું. અને જરૂરિયાત મંદ લોકોને જરૂર પડે ત્યારે જમવાનું કે અન્ય મદદ પણ પુરી પાડીએ છીએ. બસ લોકોની સેવા બાદ મારા બાળકની તબિયત સુધરે અને પરિવાર ખુશ રહે તેવા લોકોના આશીર્વાદ મળે એ જ પ્રાર્થના ભગવાનને છે.