અરવલ્લી પંથકમાં રવિ પાકોના વાવેતર માટે કેનાલમાં પાણી છોડાયું
અરવલ્લી: જિલ્લામાં મોટાપાયે રવિ પાકોનું વાવતેર હાથ ધરાયું છે.ત્યારે આ વાવેતરને પૂરતી સિંચાઈનો લાભ મળી રહે તે માટે તંત્ર દ્વારા વાત્રક જળાશયની ડાબા કાંઠાની કેનાલમાં 120 કયુસેક પાણી છોડાયું હતુ.આ બીજા રાઉન્ડમાં અપાયેલા પાણીને લઈ કમાન્ડ વિસ્તારના ૧૫ ગામોના ખેડૂતો દ્વારા કરાયેલ 8 હજાર હેકટરથી વધુ વાવણીને પીયતનો લાભ મળશે.ચાલુ વર્ષે જિલ્લામાં વરસેલા ખૂબ સારા વરસાદને લઈ જળાશયો છલકાઈ ઉઠયા હતા.સારા વરસાદ અને પૂરતી સિંચાઈ સુવિધાઓને લઈ જિલ્લામાં 1 લાખથી વધુ હેકટર ખેતીલાયક જમીનમાં ખેડૂતો દ્વારા ઘઉં,બટાટા,મકાઈ સહિતના રવિ પાકોનું વાવેતર કરાયું છે.ત્યારે જ ખેડૂતોને પૂરતી સિંચાઈ સુવિધા પ્રાપ્ત થતી નથી એવા ખેડૂતોની માંગ બાદ જિલ્લા સિંચાઈ વિભાગ દ્વારા વાત્રક જળાશયની ડાબા કાંઠાની કેનાલમાં શનીવારની રાત્રે 120 કયુસેક પાણી છોડાયું હતું.કેનાલમાં છોડાયેલ પાણીને લઈ કમાન્ડ એરીયા હેઠળના સખવાણીયા,જાલમખાંટ ના મુવાડા,ઉભરાણ,ગાબટ,રડોદરા,ઓઢા,પીપોદરા અને માવધકંપા સહિત ના 15 થી વધુ ગામોના ખેડુતોને જરૃરી સિંચાઈનો લાભ મળી રહેશે એમ સિંચાઈ વિભાગના સૂત્રો દ્વારા જણાવાયું હતું.સિંચાઈ વિભાગના ઈજનેર ડી.એમ.પંડયાના જણાવ્યા મુજબ વાત્રક જળાશયની ડાબા કાંઠા ની કેનાલમાં પીયત મંડળી દ્વારા 8 હજાર હેકટરમાં હાથ ધરાયેલ વાવણીને જરૃરી પીયત મળી રહેશે.આ પાણી 13 જાન્યુઆરી સુધી ચાલુ રખાશે.જયારે જિલ્લાના માઝુમ જળાશયમાં થી હાલ 150 કયુસેક અને મેશ્વો જળાશયમાંથી 75 કયુસેક પાણી બીજા રાઉન્ડમાં પુરૃ પડાઈ રહયું છે.જેથી માઝુમ કેનાલના કમાન્ડ વિસ્તારમાં 1500 હેકટર અને મેશ્વો જળાશયના કમાન્ડ વિસ્તાર હેઠળ 1 હજાર હેકટરની વાવણીને પૂરતી સિંચાઈ નો લાભ મળી રહે છે એમ જણાવાયું હતું.