આણંદ ચોકડી નજીક ધોળા દહાડે તસ્કરોએ 75 હજારની રકમ તફડાવી
બોરસદ:ની આણંદ ચોકડી નજીક આવેલ લવકુશ કોમ્પલેક્ષમાં ગુરુવારે સવારે ૧૦ વાગ્યા બાદ કોઈપણ સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને બીજા માળે આવેલ બે ફ્લેટના મુખ્ય દરવાજે લગાવેલ તાળાને નકુચા સાથે તોડી ઘરમાં પ્રવેશીને તિજોરીઓ ખોલી તેમાંથી સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે બોરસદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર બોરસદની આણંદ ચોકડી મુખ્ય માર્ગ પર આવેલ લવકુશ કોમ્પ્લેક્ષના બીજા માળે ફ્લેટ નં. ૨૦૩માં રહેતા હેમંતકુમાર ખુશાલભાઈ ચાવડા ગુરુવારે સવારે ૯ વાગ્યે પોતાની પત્નીને હોસ્પિટલ અને પુત્રીને શાળાએ મૂકવા માટે ઘરેથી નીકળ્યા હતા. ઘરેથી નીકળતા તેઓએ ઘરના મુખ્ય દરવાજાને તાળું મારેલ હતું તેમજ તેઓના ફ્લેટની સામે આવેલ ફ્લેટ નં. ૨૦૪ના માલિક વિનોદભાઈ ઉપાધ્યાયના મકાનમાં ભાડુઆત તરીકે પતિ પત્ની રહે છે. તેઓ પણ ફ્લેટને તાળુ મારી નોકરી પર નીકળી ગયા હતા. આ સમયનો લાભ લઈ સવારે ૧૦ વાગ્યા બાદ કોઈ પણ સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને બંને ફ્લેટના દરવાજાના નકુચા તાળાં સાથે તોડીને ઘરમાં પ્રવેશીને ચોરી કરી ફરાર થઈ ગયા હતા.