ગુજરાત
News of Friday, 30th October 2020

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની સૂચના બાદ SITને ન્યુ કોલથ માર્કેટમાં બેસવાની વ્યવસ્થા ઉભી કરાઈ

વેપારી સાથે છેતરપિંડીની પ્રથમ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી

મસ્કતી કાપડ માર્કેટ મહાજનની રજૂઆતના પગલે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની સૂચનાથી અમદાવાદ શહેરમાં સેકટર-2ના આદેશથી રચાયેલી સીટને વેપારીઓ દ્રારા ન્યૂ કલોથ માર્કેટમાં બેસવા માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ નવી જગ્યા પરથી સ્પેશ્યલ ઇન્વેન્ટીગેશન એજન્સી ( SIT ) એ વેપારી સાથે છેતરપિંડીની પ્રથમ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. ઉછીના પૈસાના બદલામાં કાપડ આપવાની વાત કર્યા બાદ માલ અને પૈસા નહી ચૂકવ્યાં હતાં. જેથી આ અંગે પંકજ અગ્રવાલ તથા રીકીનભાઇ રાવલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

શહેરના સેટેલાઇટ વિસ્તારની આસાવરી ટાવરમાં રહેતાં રીટાબેન પટેલના પતિ વિશાલભાઇ ન્યુ કલોથ માર્કેટ, રાયપુર ખાતે રાહીલ ટેક્ષટાઇલ નામની કંપની પેઢી ધરાવી કાપડનો વેપાર ધંધો કરતા હતાં. તેમનું ગઇ તા. 9મી ફેબ્રુઆરીના રોજ હાર્ટ એટેકથી અવસાન થયં હતું. વિશાલભાઇ તથા તેમના પંકજભાઇ અગ્રવાલ મિત્રો હતાં. પંકજભાઇ પીઆર એન્ટરપ્રાઇઝના નામથી કાપડના ટ્રેડીંગનો વેપાર કરતા હતાં. તેમણે 2019 અને 2020માં વિશાલભાઇએ 45 લાખ રૂપિયા હાથ ઉછીના આપ્યા હતાં.

 

દરમિયાનમાં પંકજભાઇએ તેમના મિત્ર રીકીનભાઇ રાવલ સાથે ઓળખાણ કરાવી હતી. રિકીનભાઇને જે માલ આપશો તેની એમાઉન્ટ પણ તેઓ સમયસર ચૂકવશે તે હું તમને અપાવી દઇશ તેવી પંકજભાઇએ ખાત્રી આપી હતી. તેની સાથે તમે મને આપેલા પૈસાના બદલામાં હું તમને જે માલ આપું તે તમે તેમને વેચાણથી આપજો. પંકજભાઇએ આપેલા માલનું વેચાણ વિશાલભાઇએ રીકીનભાઇને કર્યું હતું. રિકીનભાઇને 18,38,667નો કાચા કાપડનો માલ અપાવ્યો હતો.

પેમેન્ટની મુદ્દત પુરી થતાં વિશાલભાઇએ ઉઘરાણી કરતાં રિકીનભાઇએ કહ્યું હતું કે, ‘તે માલ મે પંકજભાઇના ગોડાઉન ખાતે મોકલી આપ્યો છે. જેથી તેમનો સંપર્ક કરતાં જણાવ્યું કે, રિકીનભાઇએ કોઇ માલ અમને આપ્યો નથી. વારંવારની ઉઘરાણી બાદ રીકીનભાઇએ ત્રણ ચેકો આપ્યા હતા. તમામ ચેકો રિટર્ન થયા હતા. ત્યાર બાદ પણ ઉઘરાણી કરવા છતાં પંકજભાઇ કે રીકીનભાઇએ રકમ ચુકવી ન હોતી. દરમિયાનમાં વિશાલભાઇનું અવસાન થયું હતું. જેથી તેમના પત્ની રીટાબેન પટેલે આ અંગે સીટ સમક્ષ પંકજભાઇને ઉછીના આપેલા 45 લાખ પૈકી 18,37,667 રૂપિયાના માલને બાદ કરતાં બાકીના 26,62,333ની રકમ આજ દિન સુધી નહીં ચુકવીને પંકજભાઇ તથા રીકીન રાવલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

મસ્કતી કાપડ માર્કેટ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું કે, ‘વેપારીઓને સરળતાથી SITનો સંપર્ક થઇ શકે તે માટે SITને ન્યુ કલોથ માર્કેટમાં જ બેઠકની અલાયદી વ્યવસ્થા કરી આપવામાં આવી છે. ત્યાં જ SIT બેસીને ફરિયાદ નોંધવાથી માંડીને તપાસની કામગીરી કરે છે.

નિયમ મુજબ ફરિયાદ પોલીસ મથકમાં જ નોંધાવી શકે. જેથી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે આ ફરિયાદ લખીને નોંધવા માટે કાગડાપીઠ પોલીસ મથકને મોકલી હતી. બાદમાં આ ફરિયાદની તપાસ સીટ દ્રારા હાથ ધરવામાં આવશે.

(12:00 am IST)