બેંક કલાર્કે બ્રાંચ મેનેજરને કહ્યો 'ગુંડો, ગુમાવવી પડી નોકરી
કસ્તુરબાધામ બેંક ઓફ ઇન્ડિયાની છે ઘટનાઃ મામલો ૨૦૦૨નો છે : લેબર કોર્ટ તેમજ ગુજરાત હાઈકોર્ટે પણ સજા આરોપને અનુરૂપ છે તેમ માનીને તેની હકાલકટ્ટીને યથાવત રાખી
અમદાવાદ, તા.૩૦: તમારા બોસને અપશબ્દો કહેવા તે નોકરી ગુમાવવા જેટલા મોંદ્યા પડી શકે છે. એક બેંક કલાર્કે તેના બ્રાંચ મેનેજરને ગુંડો કહેવા બદલ નોકરી ગુમાવવી પડી હતી અને લેબર કોર્ટ તેમજ ગુજરાત હાઈકોર્ટે પણ સજા આરોપને અનુરૂપ છે તેમ માનીને તેની હકાલકટ્ટીને યથાવત્ રાખી હતી.
કેસમાં હર્ષદ દવે સામેલ હતો, જેની ૧૯૭૩માં બેંક ઓફ ઈન્ડિયાની સરધાર શાખામાં લીવ રિઝર્વ કેશિયર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. બાદમાં તે સ્ટાફ કલાર્ક કેશિયર બન્યો હતો અને રાજકોટની કસ્તુરબાધામ શાખામાં પોસ્ટિંગ થયું હતું. તેને બ્રાંચ મેનેજર સાથે બનતું નહોતું અને ૨૧ ફેબ્રુઆરી, ૨૦૦૨ના દિવસે દવેએ તેના મેનેજરને 'ગુંડો' કહીને સંબોધ્યો હતો.
આ ગેરવર્તન અંગે બ્રાંચ મેનેજરે તેના ઉપરી અધિકારીને ફરિયાદ કરી હતી. મેનેજરે પણ દવેની કથિત અનિયમિતતા અને બેદરકારી અંગે ફરિયાદ કરી હતી.
બ્રાંચ મેનેજરને ગુંડો કહેવા બદલ તેમજ ગ્રાહકોને ઓછી ચૂકવણી કરવા બદલ (જેની રકમ માત્ર ૧૦થી ૫૦ રૂપિયા હતી) મેનેજમેન્ટે દવે સામે તપાસ હાથ ધરી હતી. આ સિવાય દવે સામે દિવસેને દિવસે ડ્યૂટીમાં બેજવાબદારી અને બેરદકારીભર્યા વર્તનનો પણ આરોપ હતો. તેના પર હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી તેમ વિવિધ ભાષાઓમાં રકમ લખવાનો આરોપ હતો.
તપાસમાં તમામ આરોપો સાબિત થયા હતા અને ડિસિપ્લિનરી અધિકારીએ જુલાઈ, ૨૦૦૩માં દવેની સર્વિસ ખતમ કરવાનો આદેશ આપ્યો હતો. જે બાદ દવેએ લેબર કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને દાવો કર્યો હતો કે, લગાવવામાં આવેલા આરોપો અર્થહીન હતા અને તેની પાસે સ્ટેનલેસ સર્વિસનો રેકોર્ડ પણ હતો. તપાસ અને ટર્મિનેશન ઓર્ડર બદ દાનત ભરેલા હોવાનું પણ તેણે કહ્યું હતું. જો કે, ૨૦૧૧માં લેબર કોર્ટે કેસને ફગાવી દીધો હતો.
દવે બાદમાં ૨૦૧૨માં ગુજરાત હાઈકોર્ટ ગયો હતો અને તપાસ તેમજ સજાના પ્રમાણ પર સવાલ ઉઠાવ્યા હતા. સિંગલ જજની બેંચે ૨૦૧૨માં તેની અરજી નામંજૂર કરી હતી. દવેએ આ આદેશને ડિવિઝન બેન્ચ સમક્ષ પડકાર્યો હતો, તે પહેલા એડવોકેટ નિસર્ગ દેસાઈએ રજૂઆત કરી હતી કે તપાસમાં ત્રણેય આરોપો સાબિત થયા હતા અને દવેને સેવામાંથી દૂર કરવાના અગાઉના આદેશો વાજબીબેંકહતા.
કેસની સુનાવણી બાદ, જસ્ટિસ વિનીત કોઠાણી અને જસ્ટિસ બીએન કારિયાએ ટર્મિનેશનને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે 'ડિસિપ્લિનરી અધિકારી દ્વારા આદેશિત સજા મૂળ અરજદાર સામે લગાવવામાં આવેલા આરોપોને અનુરુપ છે અને અન્યથા સાબિત થયેલા આરોપોને ધ્યાનમાં રાખીને અપીલકર્તાની દલીલ સારી નથી'.