રાજપીપળા શહેરમાં રખડતા પશુઓના માલિકોને પશુ ખુલ્લા ન છોડવા નગરપાલિકા દ્વારા તાકીદ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં રખડતા પશુઓ અંગે પ્રસિદ્ધ થયેલા એ અખબારી અહેવાલ અંગે રાજપીપલા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવાયું છે કે, રાજપીપલા શહેરમાં અજાણી વ્યક્તિઓ દ્વારા તેમના પશુઓને ખુલ્લા છોડી દેવાને કારણે ઉભી થતી ટ્રાફિક સમસ્ચા અને રાહદારીઓ તથા વાહન ચાલકોને થતી અડચણ કે અકસ્માતના નિવારણ માટે રાજપીપલા નગરપાલિકા વિસ્તારમાં આવેલ પશુઓના માલિકોને તેમના પશુઓને ખુલ્લામાં ન છોડવાનું જણાવવાની સાથે આ બાબતે તેઓને ખાસ તાકીદ કરવામાં આવી છે. અને તેમાં પશુઓના કસુરવાર માલિકોની ઓળખ કરીને તેમની સામે જરૂરી કાર્યવાહી કરવાની પણ ચેતવણી અપાઈ છે. તેની સાથોસાથ નગરપાલિકા દ્વારા પશુઓને હાંકનારાઓને બોલાવી રખડતાં પશુઓને હાંકીને ઢોર ડબ્બામાં પુરવાનું પણ આયોજન કરાશે. તેમ પણ તેઓ તરફથી વધુમાં જણાવાયું છે.