નર્મદા જિલ્લાના રાજપીપળામાં વધુ કોરોનાનો એક કેસ : આર,એસ,કમ્પાઉન્ડમાં રહેતા યુવાનને કોરોના વળગ્યો
બે દિવસના વિરામ બાદ ફરી એક કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : અનલોક ૧ માં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે નર્મદામાં કેવડિયાના એસ.આર.પી કેમ્પ કોરોનામાં સપડાયો હતો ત્યારબાદ બે દિવસથી કોરોનાના નવા કેસ નોંધાયા ન હતા બાદ રાજપીપળામાં એક કેસ પોઝિટિવ મળી આવતા ફરી આરોગ્ય ખાતામાં દોડધામ મચી છે.
નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીસ ઓફિસર ડોક્ટર કશ્યપના જણાવ્યા મુજબ ગતરોજ ચકાસણી માટે મોકલેલ 33 સેમ્પલમાંથી એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેમાં રાજપીપળાના આર.એસ કમ્પાઉન્ડમાં રહેતા 36 વર્ષીય ચરણભાઈ શંકુભાઈ રાવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે સાથેજ નર્મદા જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં હાલ કોરોનાના કુલ 45 દર્દીઓ સારવાર હેઠળ છે નર્મદા જિલ્લામાં આજદિન સુધી 44 દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે તેમજ કોરોનાના કારણે એકપણ મૃત્યુ નોંધાયું નથી આજે વધુ 29 સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.