ડેડીયાપાડા તાલુકામાં હત્યાને આત્મહત્યામાં ખપાવવા પતિએ જ પત્નીનો મૃતદેહ લટકાવ્યો હોવાનો પોલીસે ભેદ ઉકેલ્યો:હત્યારા પતિની શોધખોળ શરૂ
ડેડીયાપાડાનાં PSI એ.આર.ડામોરને આત્મહત્યાની વાત ગળે ન ઉતરતા હત્યાનો પર્દાફાશ થયો
(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના સામોટ ખાતે રહેતી એક પરિણીત મહિલાની આત્મ હત્યાની ફરિયાદ નોંધાયા બાદ પત્નીની અંતિમક્રિયા પૂર્ણ થાય એ પહેલા પોલીસે પતિની કરતૂતનો પર્દાફાશ કરી દીધો હોવાની ઘટના સામે આવી છે જેમાં પોલિસ તપાસમાં પતિએ જ પોતાની પત્નીની હત્યા કરી તેને આત્મહત્યામાં ખપાવવા માટે પત્નીનો મૃતદેહ લટકાવી દીધો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના સામોટ ખાતે રહેતી સીતાબેન મગનભાઈ વસાવા (ઉ.વ.૨૫)ને તેના પતિ મગનભાઈ જાતરિયાભાઈ વસાવા વચ્ચે અવાર નવાર ઝઘડો થતો હતો.જેમાં ખેતરે પાણી વાળવા જેવી નાની બાબતે પણ ઝગડો થયો હતો ત્યારબાદ ડેડીયાપાડા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાઈ કે પત્ની સીતા એ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. પરંતુ ડેડીયાપાડાનાં ઝાબાઝ PSI એ.આર.ડામોરને આ વાત કઈ ગળે ન ઉતરી અને આ બાબતે શંકા જતા એ સમયે એક તરફ પત્નીના અંતિમ સંસ્કાર ની તૈયારી ચાલુ હતી છતાં પોલીસે આ ફરિયાદનો ભેદ ઉકેલી કાઢવા કમર કશી અને ડેડીયાપાડા PSI એ.આર.ડામોર સહિત અન્ય પોલીસ માણસો એ ઘટના સ્થળની મુલાકાત લીધી ત્યારે પતિ મગન વસાવાએ પોતાની પત્ની સીતાબેનની તારીખ 27 જૂને સવારે મોહબૂડી ગામની સીમમાં આશનબાર વિસ્તારમાં આવેલ પોતાના કાચા ઘરમાં ગળે ટુંપો આપી હત્યા કરી હતી અને આ હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે ત્યાં જ પત્નીના મૃતદેહને લટકાવી દઈ એના કપડા પણ બદલી કાઢ્યા હોવાની વાત તપાસ દરમિયાન બહાર આવતા હત્યારા પતિનો ભેદ ખુલ્લો પડી ગયો હતો.જેથી ડેડીયાપાડા પોલીસે આ હત્યા બાબતે પતિ મગન વસાવા વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
ડેડીયાપાડા PSI ડામોર ના જણાવ્યા મુજબ ઘટના સ્થળ પર અમે જઈ જોયું ત્યારે જ અમને અંદાજ આવી ગયો હતો કે આ હત્યા જ છે.પીએમ માં પણ ડોક્ટરે એવો અભિપ્રાય આપ્યો કે આ હત્યા છે આત્મહત્યા નથી. હાલ તો અમે આરોપી પતિની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.