ગુજરાત
News of Saturday, 30th May 2020

જળસંચય અભિયાનમાં પ્રગતિના વહેણ, ૧૮૯૪ કામ પૂર્ણ, ૫૯૭૪ કાર્યો ગતિમાં

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી જળસંગ્રહ ક્ષમતા ૨૩૫૫૩ લાખ ઘનફુટ વધી

ગાંધીનગર, તા.૩૦: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાનની બે વર્ષની સતત જવલંત સફળતાને પગલે આ વર્ષે પણ તા.ર૦ એપ્રિલથી તા. ૧૦ જૂન દરમ્યાન સમગ્ર ગુજરાતમાં આ અભિયાનનું ત્રીજું સંસ્કરણ શરૂ કરાવ્યું છે. કોરોનાની વૈશ્વિક મહામારી સામે અને મહામારી સાથે સતર્કતા-સાવચેતીપૂર્વક જનજીવન વ્યવહારો રાજયમાં પૂર્વવત થવા માંડયા છે ત્યારે આગામી ચોમાસાની ઋતુમાં મહત્તમ જળસંચય-જળસંગ્રહ માટે સુજલામ સુફલામ જળઅભિયાનની ત્રીજા તબક્કાની કામગીરી પણ વેગવંતી બની છે.

આ વર્ષના અભિયાનની શરૂઆતના તબક્કે જ કોરોના વાયરસ કોવિડ-૧૯ના પરિણામે અભિયાનના કામો લોકડાઉનની સ્થિતીમાં અટવાઇ પડયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ લોકડાઉનના ત્રીજા તબક્કામાં ગ્રામીણ વિસ્તારોમાં મનરેગા સહિતના શ્રમિકોને રોજગારી આપતાં કામો સાથોસાથ જળસંગ્રહ ક્ષમતા વધારવાના સુજલામ સુફલામ જળ અભિયાનના કામો પૂનઃ શરૂ કરવા તંત્રને પ્રેરિત કર્યુ અને આ કામોમાં ગતિ આવી છે.

મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અભિયાનની વિગતો આપી હતી.

તદ્દઅનુસાર, રાજયમાં તા.ર૦ એપ્રિલથી શરૂ થયેલા સુજલામ-સુફલામ જળ અભિયાનના ત્રીજા તબક્કામાં અત્યાર સુધીમાં ૧૮૯૪ કામો પૂર્ણ થયા છે તેમજ ૫૯૪૭ કાર્યો પ્રગતિમાં છે.

આ જળ અભિયાન કામોમાં તળાવો ઊંડા કરવા, ચેકડેમોનું ડીસીલ્ટીંગ, નદીઓના કાંપની સફાઇ જેવા કામોમાં અત્યાર સુધીમાં ૩૩,૧૯૬ જે.સી.બી અને ૧ લાખ ૩૫ હજાર જેટલા ટ્રેકટર ડમ્પરના ઉપયોગથી સમગ્રતયા ૧,૬૮,૮૪૨ યાંત્રિક સાધનો દ્વારા માટી-કાંપ કાઢવામાં આવ્યા છે.

આવી માટી ખેડૂતોને તેમના ખેતરમાં પાથરવા અને પાક ઉપયોગમાં લેવા વિનામૂલ્યે આપી દેવામાં આવે છે તેમ પણ મુખ્યમંત્રીના સચિવે જણાવ્યું હતું.

તેમણે સ્પષ્ટપણે ઉમેર્યુ કે, સુજલામ-સુફલામ જળ અભિયાનના આ ત્રીજા તબક્કામાં તા.ર૯મી મે સુધીમાં વિવિધ કામો પર જે શ્રમિકોને કામ મળ્યું છે તેનાથી ૨૧,૭૧,૯૬૩ માનવદિન રોજગારી મળી છે.

એટલું જ નહિ, સમગ્રતયા આ જળ અભિયાનને પરિણામે અત્યાર સુધીમાં ૧ કરોડ ૭૦ લાખ ૨૭ હજાર ૭૪૦ ધનમીટર જળસંગ્રહ થઇ શકે તેટલાં કામો રાજયભરમાં સંપન્ન થાય છે.

મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ મુખ્યમંત્રીશ્રી પ્રેરિત આ સુજલામ સુફલામ જળ અભિયાનની બે વર્ષની સફળતાની વિસ્તૃત ભૂમિકા આપતાં જણાવ્યું કે, જનભાગીદારી દ્વારા હાથ ધરાયેલ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જળ સંચયનો વ્યાપ વધારવો, ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા, સિંચાઇ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવી, ખેત ઉત્પાદનમાં વધારો કરવો, પાણીનો બગાડ ઘટાડવો તથા પર્યાવરણમાં સુધારો લાવવાનો હતો એમાં સૌ લોકોએ સક્રિયતાથી સહયોગ આપ્યો છે અને પરિણામે આ અપ્રતિમ સફળતા મળી છે.

સુજલામ સુફલામ જળ અભિયાનમાં સરકાર અને જનભાગીદારીનો હિસ્સો પ૦: પ૦ હતો તે હવે ૬૦:૪૦ કરીને વ્યાપક જનભાગીદારી જોડી છે. એમ મુખ્યમંત્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે જણાવ્યુ હતું.

(11:34 am IST)