આણંદ નજીક ચિખોદરામાં ગૃહ ક્લેશમાં પતિએ ત્રણ વાહનો સળગાવી મારતા અરેરાટી
આણંદ: નજીક આવેલી ચીખોદરા ચોકડી પાસેના ધરતી ઉપવનમાં ગૃહકલેશને લઈને ઉશ્કેરાયેલા પતિએ પત્નીના ઘરની બહાર પાર્ક કરેલા ત્રણ વાહનો સળગાવી મારતાં આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસા ફરિયાદી સીમાબેને સાતેક વર્ષ પહેલાં ભાવેશભાઈ ઠક્કર સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જે થકી એક સંતાનપ્રાપ્તી પણ થઈ હતી પરંતુ ત્યારબાદ પતિ સાથે મનદુ:ખ અને તકરાર થતાં છુટા પડ્યા હતા અને કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે. ત્યારબાદ તેણી સવશાંતિ રીસોર્ટની પાછળ આવેલી ધરતી ઉપવનમાં રહેતા માતા-પિતાને ત્યાં રહેવા માટે જતા રહ્યા હતા. દરમ્યાન ગઈકાલે રાત્રીના સુમારે પતિ ભાવેશભાઈ ધરતી ઉપવનમાં આવ્યા હતા અને ઘરની બહાર પડેલું બુલેટ, સીબીઝેડ બાઈક તેમજ એવીએટરને આગ લગાડી દીધી હતી. એકદમ જાગી ગયેલા સીમાબેને બારીમાંથી જોયું તો પતિ ભાવેશભાઈ આગ લગાવીને ભાગતા નજરે પડ્યા હતા. જેથી ઘરના સભ્યોને જગાડીને તુરંત જ આણંદ ફાયરબ્રીગેડને જાણ કરતાં ફાયર ફાયટરો આવી ચઢ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
સવારે પતિએ આજે તો વાહનો સળગાવી માર્યા છે પરંતુ ફરીથી તને જીવતી સળગાવી મારીશ તેવી ધમકી આપી હતી જેથી સીમાબેને આણંદ રૂરલ પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી.