નડિયાદ તાલુકાના આખડોલ-રણછોડપુરા સીમમાંથી પસાર થતી કેનાલમાં અગમ્ય કારણોસર પ્રેમીપંખીડાએ જીવનલીલા સંકેલી લીધી
નડિયાદ: તાલુકાના આખડોલ-રણછોડપુરા સીમમાંથી પસાર થતી એક કેનાલના પાણીમાંથી પ્રેમીપંખીડાનો મૃતદેહ મળી આવ્યો હતો. નડિયાદ રૂરલ પોલીસને જાણ થતાં તે દોડી જઈ લાશો બહાર કાઢી હતી. મરનારે એકમેકના હાથમાં દુપટ્ટો બાંધી કેનાલમાં ઝંપલાવ્યું હોય પ્રથમ નજરે જ પ્રેમપ્રકરણ હોવાનું અનુમાન થઈ રહ્યું છે. આ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે આકસ્મિક મોતની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર ગતરોજ સમી સાંજે નડિયાદ તાલુકાના આખડોલ-રણછોડપુરા સીમમાંથી પસાર થતી કેનાલના પાણીમાં યુવક અને કિશોરીના મૃતદેહ તણાઈ આવેલ જોવા મળ્યા હતા. આ વાતની જાણ સ્થાનિકોને થતાં અહીંયા ગરનાળા પાસે ટોળેટોળાં જોવા ઉમટ્યા હતા. જેમાંથી એક વ્યક્તિએ આ ઘટનાની જાણ નડિયાદ ગ્રામ્ય પોલીસને કરી હતી. જેથી પોલીસે બનાવસ્થળે આવી સ્થાનિક તરવૈયાઓની મદદ મેળવી આ બંનેના મૃતદેહને કેનાલના પાણીમાંથી બહાર કાઢ્યા હતા.