ગુજરાત
News of Friday, 30th April 2021

કાલે ગુજરાત સ્થાપના દિવસથી યુવાનોના વેકિસનેશનનો શુભારંભ

cowin.gov.in પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તે યુવાનોને જ વેકિસન અપાશેઃ સ્થળ પર રજીસ્ટ્રેશનની જોગવાઇ નથી : જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે તેવા ૧૦ જિલ્લાઓ- અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં યુવાનોને આવતીકાલથી વિનામૂલ્યે વેકિસનઃ વિજયભાઈ રૂપાણીની જાહેરાત

રાજકોટ, તા. ૩૦: ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ, તા. ૧લી મેથી રાજ્યના ૧૦ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેકિસન આપશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્ર સરકારની મદદથી ગુજરાતમાં આવતીકાલથી યુવાનોના વેકિસનેશનનો આરંભ થઈ રહ્યો છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ૧૮ વર્ષથી વધુ વયના યુવાનો કોરોના સામે સુરક્ષિત રહે એ હેતુ જલદીમાં જલદી વેકિસનેશન શરૂ થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. ગુજરાતે ભારતના સ્વદેશી વેકિસન ઉત્પાદકોને અઢી કરોડ વેકિસન ડોઝ માટે ઓર્ડર આપી દીધો છે. વધુને વધુ વેકિસન ડોઝ મળે તે માટે ગુજરાત સરકાર સતત આ બંને કંપનીઓના પરામર્શમાં છે. આજે સાંજ સુધીમાં ૩ લાખ વેકિસન ડોઝ હવાઇમાર્ગે ગુજરાત આવી રહ્યા છે અને આવતીકાલથી ૧૦ જિલ્લાઓમાં યુવાનોના વેકિસનેશનનો શુભારંભ થઈ જશે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે એવા ૧૦ જિલ્લાઓ- અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં આવતીકાલે, ગુજરાતના સ્થાપના દિવસે સવારે ૯ વાગ્યાથી ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેકિસન આપશે.   

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, મે મહિના દરમિયાન ગુજરાતને વેકિસનના ૧૧ લાખ ડોઝ મળશે. હજુ વધુ જથ્થો પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. જેમ-જેમ વેકિસન ઉપલબ્ધ થશે તેમ-તેમ વધુને વધુ જિલ્લાઓમાં યુવાનોના વેકિસનેશનનો તબક્કાવાર આરંભ કરાશે.

સમગ્ર દેશમાં આવતીકાલથી ૧૮થી ૪૪ વયજૂથમાં વેકિસનેશનનો ચોથા તબક્કાનો આરંભ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, જે યુવાનોએ cowin.gov.iઁ પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તે પૈકીના આ દસ જિલ્લાના યુવાનોને જ SMS મળશે, અને લ્પ્લ્માં દર્શાવેલી તારીખે, સ્થળે અને સમયે જે તે સેન્ટર પર જઈને તેમણે વેકિસન લેવાની રહેશે. વેકિસનેશન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત છે. સ્થળ પર રજીસ્ટ્રેશનની કોઈ જોગવાઇ નથી એટલે જેમણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હોય અને જેમને SMS મળ્યો હોય તે યુવાનો જ વેકિસન લેવા માટે જાય. ગુજરાતમાં વેકિસનેશનની કામગીરી ખૂબ જ સુચારૂ રૂપે થઈ રહી છે. એટલે આ કામગીરીમાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય એ સૌએ જોવાનું રહેશે.

મુખ્યમંત્રીશ્રીની આ જાહેરાત વેળાએ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતી રવિ, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમાર, આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે અને નેશનલ હેલ્થ મિશન, ગુજરાતના મિશન ડાયરેકટર અને સ્ટેટ નોડલ ઓફિસર ફોર કોવિડ વેકિસનેશન શ્રી મુકેશ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.

(4:15 pm IST)