ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન મુજબ ૭ વર્ષથી ઓછી સજાના કેસના ૨૨ આરોપીઓને રાજકોટ કોર્ટ દ્વારા ટેમ્પરરી જામીન અપાયા
કેદીઓની સહાયતા માટે એડીઆર ભવન દ્વારા વકીલોની નિમણૂક કરાઈઃ જામીન અપાયા બાદ કેદીઓને ઘર સુધી પહોંચતા કરી રાશન કીટ પણ અપાઈઃ પ્રિ-ટાઈલ કેસોના આરોપીઓને લાભ મળ્યો
રાજકોટ, તા. ૩૦ :. ગુજરાત હાઈકોર્ટના ગાઈન્સ મુજબ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વકીલોની નિમણૂક જાહેર કરીને સાત વર્ષથી ઓછી સજાના કેસવાળા આરોપીઓને ટેમ્પરરી જામીન આપવાની કાર્યવાહી શરૂ થયેલ છે. જેમા એક મહિલા કેદી અંજુબેન સહિત કુલ ૨૨ આરોપીઓને અદાલતે ટેમ્પરરી જામીન આપવાનો હુકમ કર્યો હતો.
આ અંગે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ જોટાણીયા દ્વારા રાજકોટના એડવોકેટ મહેશ્વરીબેન ચૌહાણ, સંદીપ અંતાણી, વિશાલ ગોંસાઈ, જયેન્દ્ર ગોંડલીયા અને સુમિત વોરા વિગેરેની નિમણૂક કરતા પ્રથમ તબક્કામાં કુલ ૨૨ કેદીઓ કે જેઓ સાત વર્ષથી ઓછી સજાના કેસના આરોપીઓ છે. તેઓને ઉપસ્થિત વકીલો દ્વારા જેલ સુપ્રિ. શ્રી બન્નોબેન જોષી સાથે પરામર્શ કરતા તેમના સાથસહકારથી આવતા પ્રિ-ટાઈલવાળા ૨૨ કેદીઓની ટેમ્પરરી જામીન અરજી કોર્ટમાં મુકવામાં આવી હતી.
આ કામે જ્યુ. મેજી.શ્રી દ્વારા જેલ સમક્ષ હાજર થઈને ૨૨ કેદીઓની આવેલ જામીન અરજી ઉપર સુનાવણી કરતા આ તમામને કોર્ટે ટેમ્પરરી જામીન આપવામાં આવ્યા હતા અને વધુમાં આ તમામ આરોપીઓને પોતાના ઘર સુધી પહોંચતા કરવાની કામગીરી પણ એડીઆર ભવનના શ્રી જોટાણીયા દ્વારા સરાહનીય વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ દરેક કેદીને રાશન કીટ પણ આપવામાં આવી હતી.