પાલનપુરની સિવિલમાં વોર્ડના ટોયલેટની બારી તોડી કેદી ફરાર
કોરોના દર્દીઓના ભાગી જવાની વધુ એક ઘટના : કેદી પાલનપુર સબ જેલમાંથી ૧૭ દિનથી પાલનપુર સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં સારવાર લઇ રહ્યો હતો
પાલનપુર, તા. ૨૮ : પાલનપુર સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલ એક કેદી રવિવારે વહેલી સવારે અંધારાનો લાભ લઇ આઈસોલેશન વોર્ડના ટોયલેટની બારીની ગ્રીલ વાળી કેદી ફરાર થઇ ગયો હતો. જેની જાણ પોલીસ જાપ્તામાં રહેલા પોલીસ કર્મીઓને થતા પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં અંદાજીત બે માસ અગાઉ ઇસ્માઇલખાન મેરાજખાન ઉર્ફે મેરાબખાન ખાજુજી સુમરા (ઉ.વ.૨૨) રહે.બાલુન્દ્રા તા.અમીરગઢને રાજસ્થાનથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવાયો હતો. ત્યારબાદ તે કેદી પાલનપુર સબજેલમાંથી ૧૭ દિવસથી પાલનપુર સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં સારવાર લઇ રહ્યો હતો. રવિવારે વહેલી સવારે ઇસ્માઇલખાન ટોયલેટ જવા ગયો હતો. જેથી પોલીસ જાપ્તામાં રહેલા પોલિસકર્મીઓ બહાર તેની ખબર રાખી રહ્યા હતા.
પરંતુ વધુ સમય થઇ ગયો હોવા છતાં તે ટોયલેટમાંથી બહાર ન આવતાં જાપ્તા પોલીસને શંકા જતા બુમ પાડી તપાસ કરતાં તેનો સામે કોઇ પ્રત્યુત્તર મળ્યો ન હતો. પોલીસે ટોયલેટનો દરવાજો ખોલી જોતાં ટોયલેટની બારીની ગ્રીલના સળીયા તૂટેલા હોવાથી કેદી ફરાર થઇ ગયો હોવાની જાણ થઇ હતી. સિવિલની આજુ-બાજુ શોધ ખોળ કરવા છતાં કોઇ પત્તો ન લાગતાં પાલનપુર પોલીસ હેડ ક્વાટરના એ.એસ.આઇ. એ પાલનપુર પૂર્વ પોલીસ મથકે કેદી વહેલી સવારે અંધારાનો લાભ લઇ ફરાર થઇ ગયો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનોનોંધી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, કેદી ચાદરોની ગાંઠો વાળી તેની મદદથી બારીમાંથી નીચે ઉતર્યો હોવાનું જાણવા મળ્યું હતું. પાલનપુર સિવિલમાં સારવાર લઇ રહેલ કેદી કોરોના પોઝીટીવ હોવાથી સિવિલ દ્વારા પોલીસને કામ સિવાય દર્દી (કેદી) પાસે જવા માટે ના પાડવામાં આવી હતી. તેમજ પોલીસ દ્વારા પણ કોરોના પોઝીટીવ દર્દી હોવાથી સોશીયલ ડીસ્ટન્સ રાખવામાં આવતુ હતુ.જેનો લાભ લઇ આરોપી સિવિલમાંથી ફરાર થઇ ગયો હતો. પાલનપુર હોસ્પિટલમાં ઇસ્માઇલખાન સુમરા તા.૧૦-૧૨-૨૦ ૨૦થી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના આઇસોલેશન વોર્ડમાં સારવાર લઇ રહ્યો હતો.