નિત્યાનંદ આશ્રમ વિવાદમાં નવો ખુલાસો : ડીપીએસ સ્કૂલને ગેરકાયદે પદ્દ્ધતિથી જમીનનું વેચાણ થયાનો મોટો ધડાકો
જમીન એનએ થયા પહેલા આખી સંસ્થા ચાલી : 11 વર્ષ પ્રોસેસ ચાલી : કલેક્ટરના ઓર્ડર પહેલા જ જમીનનો ઉપયોગ
અમદાવાદ : નિત્યાનંદ આશ્રમ વિવાદમા હાથીજણ સ્થિત ડીપીએસ સ્કૂલનું વધુ એક કૌભાંડ ખુલ્યું છે અહેવાલ મુજબ 2008માં હાથીજણમાં ડીપીએસને જે જમીનનું વેચાણ થયુ તે પણ ગેરકાયદે પદ્ધતિથી થયુ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. 2008માં જ્યારે જમીન ખરીદાઈ ત્યારે તે ખેતીની જમીન હતી પરંતુ તે બિનખેડૂતને વેચવામાં આવી છે. હકિકતમાં લેન્ડ રેવન્યું કોડની જોગવાઈ પ્રમાણે ખેતીની જમીન બિન ખેડૂતોને વેચી ન શકે. 2008માં જમીન ખરીદી તે ગણોત ધારા કલમ 84 સી હેઠળ રાજ્ય સરકારે જમીનને ખાલસા કરવાની પ્રોસેસ કરવી પડે.
2008થી 2019 દરમ્યાન 11 વર્ષ સુધી પ્રોસેસ ચાલી અને 2019માં તાજેતરમાં જ ફાઈલ પ્રોસેસ થઈ છે..11 વર્ષ સુધી પ્રોસિડિંગ લંબાવ્યુ તે સરકારી અધિકારીઓની મહેબાની જ કહેવાય. આ જમીનની પ્રોસેસ દરમિયાન ઘણી એન્ટ્રી રદ થઇ છે. જમીન બિન ખેતી કરવા માટે કલેક્ટરે ઓર્ડર કર્યો ત્યારે જે પંચનામા થયા હોય તેની સામે પણ સવાલો ઉઠે છે, કારણ કે, ખેતીની જમીન બિન ખેતી કરતી વખતે કોઇ બાંધકામ થયું છે કે નહીં, તેનો ઉપયોગ થયો છે કે નહીં તેની તપાસ કરીને તપાસ સ્થળ રિપોર્ટ ભરવો પડે છે.
જ્યારે અહીં તો જમીન એનએ થયા પહેલા આખી સંસ્થા ચાલી રહી છે. કલેક્ટરના ઓર્ડર પહેલા જ જમીનનો ઉપયોગ થયો હોય તો શરત ભંગની કાર્યવાહી કરવી પડે. લેન્ડ રેવન્યુ કોડની કલમ 65 હેઠળ એવી જોગવાઇ છે કે, સરકારે જમીનનો જે પર્ટિક્યુલર હક નક્કી કર્યો હોય તેના સિવાય બીજો ઉપયોગ થઇ ન શકે.