ગાંધીનગરમાં ભાવ વધારાની અસર દેખાઈ: વાહનોનું વેચાણ થયું ઓછું
ગાંધીનગર:પેટ્રોલ-ડિઝલના ભાવવધારાને કારણે અન્ય બજારોમાં મંદી દેખાઇ રહી છે ત્યારે ઓટોમોબાઇલ ક્ષેત્રમાં તો આ ભાવવધારાની સીધી અસર પડી છે અને ડીલરોએ નવરાત્રી અને દિવાળી દરમિયાન મંગાવેલા વાહનોમાંથી ૪૦ ટકા જેટલા વાહનો વેચાયા વગર પડી રહ્યા છે. ગાંધીનગર જિલ્લામાં વર્ષ ૨૦૧૭માં સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીના ત્રણ મહિના દરમિયાન કુલ ૧૭,૧૩૦ વાહનો નવા છુટયા હતા તો તેેની સામે ચાલુ વર્ષે આ જ ત્રણ મહિના દરમિયાન ફક્ત ૧૦,૦૬૦ વાહનો જ આરટીઓમાં નોંધાયા છે. જેના કારણે ગત વર્ષ કરતા આ ત્રણ મહિના દરમિયાન સાત હજાર વાહનોનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.જેને કારણે ડિલરો અને એજન્ટો પણના હાલ પણ બેહાલ થઇ ગયા છે.
સામાન્યરીતે જેમ જેમ વર્ષો જાય તેમ તેમ વાહન ખરીદીના આંકડા વધતા જતા હોય છે. ગાંધીનગર જ નહીં પરંતુ સમગ્ર દેશમાં વાહનોની સંખ્યા વધી રહી છે તેમાં પણ ઓટોમોબાઇલ ક્ષેત્ર થયેલી વિવિધ ક્રાંતિને કારણે નાના વાહનોથી લઇને મોટા લોડીંગ અને પેસેન્જર વાહનોની ડિમાન્ડ પણ વધી છે તેવી સ્થિતિમાં ગાંધીનગર સહિત સમગ્ર દેશમાં ચાલુ વર્ષે ઓટોમોબાઇલ ક્ષેત્રે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.