સુરતમાં પાટીદાર નેતા ધાર્મિક માલવીયા સહિત ૬ની ધરપકડ : જામીન પર મુકત
સુરત તા. ૨૯ : સરથાણા-પુણા-વરાછા વિસ્તારમાં છેલ્લા એક વર્ષમાં પાસના આગેવાન-કાર્યકર્તાઓના વિરુદ્ઘમાં નોંધાયેલા ગુનામાં ધાર્મિક માલવિયા સહિત ૬ જો એકજ દિવસમાં ત્રણ ગુનામાં ધરપકડ કરી હતી. સરથાણા અને પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં તમામને જામીન પર મુકત કર્યા હતા. વરાછા પોલીસ સ્ટેશનમાં જામીનની તજવીજ ચાલુ છે.
પાસના કાર્યકર્તાઓ વિરુદ્ઘ સરથાણા-પુણા-વરાછા સહિતના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાઓ પણ દાખલ થયા હતા. સરથાણામાં દોઢેક મહિના પહેલા ભાજપના નેતાઓના પોસ્ટર સળગાવવા માટે ધાર્મિક માલવિયા વિરુદ્ઘ ગુનો દાખલ થયો હતો. તે પહેલા પાસના અન્ય કાર્યકરોના વિરુદ્ઘમાં સરથાણામાં-પુણામાં રાયોટિંગનો ગુનો નોંધાયો હતો. વરાછામાં નટુ નામના વ્યકિતને માર મારવાનો ગુનો નોંધાયો હતો.
આ ગુનામાં આરોપીઓ પોલીસ રેકોર્ડ પ્રમાણે નાસતા ફરતા હતા. સરથાણા પોલીસે એક ગુનાના આરોપમાં ધાર્મિક માલવિયાની ધરપકડ કરી હતી. તેમજ બીઆરટીએસ બસની તોડફોડ અને સળગાવવાના ગુનામાં પાસના કાર્યકર યોગેશ કુંભાણી, આકાશ વાટલિયા, મૌલિક નસીત, મહેન્દ્રભાઈ બાલધા અને તુષાર કાછડિયાની ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓને જામીન પર મુકત કર્યા હતા. બાદ પુણા પોલીસે દાખલ થયેલ રાયોટિંગના ગુનામાં તમામની ધરપકડ કરી હતી. તેમને ત્યાંથી પણ જામીન મુકત કર્યા છે. અહી પણ તમામ આરોપીઓને જામીન પર મુકત કર્યા હતા.