ભચાઉ રાધનપુર હાઈવે પર પલાંસવા નજીક એસટી બસ અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત : 3ના મોત: 8 ઘાયલ
ઈજાગ્રસ્તોને સારવાર માટે ભચાઉ અને રાધનપુર ખસેડાયા :અકસ્માતન પગલે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકજામ
કચ્છના ભચાઉ રાધનપુર હાઈવે પર પલાંસવા-ગાગોદર વચ્ચે ST બસ અને પ્રવાસી જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ત્રણ લોકોના સ્થળ પર મોત નિપજ્યા હતા. જ્યારેે આઠ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ભચાઉ અને રાધનપુર ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.
પલાંસવા અને ગાગોદર વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એકસાઈડ રોડનું કામ શરૂ છે. જેથી એક જ સાઈડ પરથી બન્ને તરફનો ટ્રાફિક ચાલી રહ્યો છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પલાસંવા તરફની માર્ગની ગોલાઈ પર ST બસ અને જીપ સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ભવાન દેવા દેવીપુજક, જેઠા વેલા ભરવાડ અને ધવલ રમેશ ભરવાડ નામના ત્રણ લોકોના સ્થળ પર મોત થયા હતા. જ્યારે અન્ય આઠ લોકો ઘાયલ થયા હતા. અકસ્માતન પગલે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકજામ થયો હતો.