વડાપ્રધાન મોદી 11 ઓક્ટોબરે જામકંડોરણામાં સંબોધશે સભા:19 ઓક્ટોબરે રાજકોટમાં વિવિધ કાર્યક્રમો: જનસભા સંબોધશે
પીએમ મોદી રૂપિયા 5000 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે:ઓવરબ્રિજ, રાજકોટ કાનાલૂસ રેલવેના ડબલ લાઈન, લાઈટહાઉસ પ્રોજેક્ટ સાયન્સ મ્યુઝિયમ ખીરસરા જીઆઈડીસીનુ લોકાર્પણ કરશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પહેલા વડાપ્રધાન મોદી રાજકોટની મુલાકાત લેશે. નવ દિવસમાં વડાપ્રધાન મોદી બીજી વાર રાજકોટ આવી રહ્યા છે. 11 ઓક્ટોબરે તેઓ રાજકોટના જામકંડોરણા તાલુકામાં અને 19 ઓક્ટોબરે રાજકોટમાં જનસભા કરશે. કોર્પોરેશન, જિલ્લા વહીવટી તંત્ર રેલવે સહિતના વિભાગના સંયુક્ત કાર્યક્રમો યોજાવાના છે. જેમા પીએમ મોદી રૂપિયા 5000 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. ઓવરબ્રિજ, રાજકોટ કાનાલૂસ રેલવેના ડબલ લાઈન, લાઈટહાઉસ પ્રોજેક્ટ સાયન્સ મ્યુઝિયમ ખીરસરા જીઆઈડીસીનુ લોકાર્પણ કરશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે મિશન સૌરાષ્ટ્ર હાથ ધર્યુ છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌરાષ્ટ્રની ઘણી ઓછી બેઠકો મળી હતી. ત્યારે આ વખતે સૌરાષ્ટ્રની બેઠકો પર ભાજપ કોઈ ચાન્સ લેવા માગતી ન હોય તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. 20મી સપ્ટેમ્બરે જેપી નડ્ડાએ પણ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતેથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ તેમણે મોરબીમાં રોડ શો કરી કાર્યકરોમાં જીતનો હુંકાર ભર્યો હતો. હવે વડાપ્રધાન મોદી પણ રાજકોટ આવી રહ્યા છે. 19મી ઓક્ટોબરે પીએમ મોદી રાજકોટમાં જંગી જનસભા કરશે સાથોસાથ વિવિધ વિભાગોના સંયુક્ત કાર્યક્રમોમાં પણ હાજરી આપશે અને વિવિધ વિકાસકામોની ભેટ પણ આપશે.
રાજકોટ એ સૌરાષ્ટ્રનું એપી સેન્ટર છે. ત્યારે જામકંડોરણા એ જયેશ રાદડિયાનો વિધાનસભા મતવિસ્તાર છે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનસભા સંબોધશે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌરાષ્ટ્રમાં ઘણી બેઠકો ગુમાવવી પડી હતી ત્યારે મિશન સૌરાષ્ટ્ર અંતર્ગત ભાજપના દિગ્ગજ નેતાઓ તાબડતોબ સૌરાષ્ટ આવી રહ્યા છે. મોરબીમાં નડ્ડાના કાર્યક્રમ બાદ હવે 9 દિવસમાં બે વાર વડાપ્રધાન રાજકોટ આવશે અને એક એક વિવિધ કાર્યક્રમોમાં સામેલ થશે.