ગુજરાત
News of Monday, 28th September 2020

અમદાવાદ મનપાનું સતત સરપ્રાઇઝ ચેકિંગ વસ્ત્રાપુર, SG હાઇવે પર 3 યુનિટ સીલ કર્યા

રાત્રે 10 વાગ્યા પછી ચાલુ રાખતા બે દુકાનો અને એસજી હાઇવે પર રાજપથ રેસ્ટોરન્ટને સીલ કરાયું

અમદાવાદ: મનપા દ્વારા આજે પણ સરપ્રાઇજ ચેકિંગ હાથ ધરાયુ હતું જેમાં શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં રાત્રે 10 વાગ્યા પછી પણ દુકાન ચાલુ રાખવા બદલ બે દુકાનો જ્યારે એસજી હાઇવે પર આવેલી રાજપથ રેસ્ટોરન્ટને પણ સીલ કરી દેવાઈ છે .

મનપા  દ્વારા વખતોવખત જાહેરાત કરવા છતાં નિયમોનું પાલન કરવામાં સંચાલકો નિષ્ફળ જતાં હોવાનું ધ્યાન પર આવ્યું છે. જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનેએસ.જી.હાઈવે, સિંધુ ભવન રોડ, આઇઆઇએમ રોડ વગેરે મળીને કુલ 27 વિસ્તારોની દુકાનો રાત્રીના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી દુકાનો બંધ રાખવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતનો અમલ થયો છે કે નહીં તે જોવા કોર્પોરેશનની ટીમ નીકળી હતી. ત્યારે વસ્ત્રાપુર વિસ્તારની બે દુકાનો ખુલ્લી હોવાનું જણાતા સીલ કરવામાં આવી હોવાની કોર્પોરેશને જાહેરાત કરી છે. જેમાં વસ્ત્રાપુરના સરદાર ચોકમાં આવેલી એમબીએ ચાઇ વાલા તથા માનસી પાસેની મેનેજમેન્ટ એનકલેવનો સમાવેશ થાય છે. જ્યારે ઇસ્કોન બ્રિજ એસજી હાઇવે પર આવેલી રાજપથ રેસ્ટોરન્ટને પણ સીલ કરી દેવામાં આવી છે.

એસ.જી.હાઈવે, સિંધુ ભવન રોડ, આઇઆઇએમ રોડ વગેરે સ્થળોએ યુવાનો એકઠા થાય છે. તેઓ માસ્ક પહેરતા નથી અને સોશિયલ ડિસ્ટનસિંગ જાળવતા નહિ હોવાથી તેમને નિયમોનું પાલન કરતા નહિ હોવાનું કોર્પોરેશનના ધ્યાન પર આવ્યું હતું. ઘણા યુનિટોને સીલ માર્યા પછી પણ કોવિડ 19ની ગાઇડલાઈનનો ભંગ થતો હોવાથી આજે ઉક્ત નિર્ણય લેવામાં આવ્યો હતો.

(1:06 am IST)