દહેગામમાં સ્મશાન નજીક કચરો ઠાલવવાની પ્રક્રિયાથી લોકોનું સ્વાસ્થ્ય બગડવાની સંભાવના
દહેગામ:એક તરફ સ્વચ્છ ભારત અભિયાન અને લીલો સુકો કચરો અલગ અલગ કરવા માટે જનજાગૃતિના કાર્યક્રમો જાહેરાતો પાછળ કરોડો રૃપિયાનો ખર્ચો કરાય છે. ત્યાં બીજી બાજુ દહેગામમાં આવેલા સ્મશાનગૃહ પાસે કરાયેલા આખા દહેગામ નગર દ્વારા કરવામાં આવતા કચરાના ઢગલા ત્યાં રહેતા સ્થાનિકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં સમાન છે. મહત્વની વાત તો એ છે કે તેની બાજુમાં જ લાખોના ખર્ચે તૈયાર કરી આપેલા વર્ણિ કંપોસ્ટ પ્લાન્ટ પણ શોભાના ગાઠીયા સમાન સાબિત થયો છે.
સરકાર દ્વારા ઘન કચરાના યોગ્ય નિકાલ માટે ડોર ટુ ડોર વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં લીલો સુકો કચરો અલગ અલગ કરી અને તે કચરામાં પ્લાસ્ટિકના કચરાને અલગ કરી અને તેને રિસાયકલ કરવાની યોજના હતી અન જે ઘરોમાંથી નીકળેલા કચરાને સડાવી અને તેનું ખાતર બનાવી અને તેને વહેચવું આ કાર્ય કરવા માટે ઘન કચરા નિકાલ વ્યવસ્થા આયોજન અંતર્ગત વર્મી કંપોસ્ટ પ્લાન્ટ બનાવી આપવામાં આવ્યો છે. જે માત્ર ને માત્ર શોભાના ગાઠિયા સમાન છે. અધુરામાં પુરું પ્લાસ્ટિકના કચરાનો કોઇ જ નિકાલ ન હોવાથી તેને જાહેર માર્ગો ઉપર ખુલ્લો ફેંકી દેવામાં આવ્યો છે. તેની ઉપર અત્યારે વરસાદ પડવાથી અસહ્ય દુર્ગંધ અને ભયંકર ગંદકી થવા પામી છે. સ્થાનિક રહેવાસીઓ તો આ વસ્તુથી ટેવાઇ ગયા છે. પણ કોઇ માણસ અગર રોડ પરથી નીકળે તો પણ ર મિનિટ એ જગ્યાએ ઉભા ન રહી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.