અમદાવાદના ચાંદખેડામાં એમ્બ્યુલન્સની ટક્કરે એક પરિવારના ત્રણ સભ્યો ઈજાગ્રસ્ત
અમદાવાદ:ચાંદખેડામાં પુરપાટ ઝડપે જઈ રહેલી એમ્બ્યુલન્સે રસ્તો ઓળંગી રહેલા એક જ પરિવારના ત્રણ જણાને અડફેટે લીધા હતા.અકસ્માતમાં એક મહિલા તેનો ૧૪ વર્ષનો પુત્ર અને સાસુને ઈજા થતા સારવાર અર્થે તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.આ બનાવની વિગત મુજબ ચાંદખેડામાં ખોડીયારનગરમાં રહેતા અલ્પેશકુમાર શ્રીમાળી તેમની પત્ની કિંજલબહેન (૩૦) પુત્ર રૃદ્ર (૧૪ વર્ષ), પુત્રી હેતાશી,માતા કાંતાબહેન (૬૯) અને મોટાભાઈની પુત્રી મયુરી (૧૮) સાથે ૧૭ ઓગષ્ટના રોજ રાત્રે ચાંદખેડા બસ સ્ટેન્ડ જવા માટે નીકળ્યા હતા.પરિવારના તમામ સભ્યો ચાંદખેડા બસ સ્ટેન્ડ ચાર રસ્તા ક્રોસ કરીને સામેની તરફ જઈ રહ્યા હતા. દરમિયાન જનતાનગર તરફથી બીઆરટીએસ કોરીડોરની અંદરથી પુરપાટ ઝડપે આવી રહેલી એમ્બ્યુલન્સે કાંતાબહેન અને કિંજલબહેનને અડફેટે લીધા હતા. કિંજલબહેને તેમના પુત્ર રૃદ્રને તેડેલો હતો.