નડિયાદ પશ્ચિમમાં સગીરાને હવસનો શિકાર બનાવી ભાઈઓને મોતનેઘાટ ઉતારી દેવાની ધમકી આપનાર વિરુદ્ધ ગુનો દાખલ
નડિયાદ: પશ્ચિમ વિસ્તારના પવનચક્કી વિસ્તારની સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ ગુજારી તેના ભાઈઓને ઉઠાવી જઈ જાનથી મારી નાંખવાની ધમકી આપતાં સગીરાની ફરિયાદ આધારે ગુનો નોંધી પોલીસે તપાસ આરંભી છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ પશ્ચિમ પવનચક્કી વિસ્તાર પુષ્પાજંલિ પાર્કમાં રહેતા દર્શન ઈશ્વરભાઈ ડામોરે ૧૫ વર્ષના આશરાની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી પોતાની મોહજાળમાં ફસાવી હતી. બાદમાં છેલ્લા નવેક મહિનાથી દર્શન ડામોરે પોતે મરી જઈશ તેવી ઈમોશનલ ધમકી આપી સગીરા ઉપર અવાર-નવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો. તેમજ આ બનાવ અંગે કોઈને જાણ કરીશ તો સગીરાને સમાજમાં બદનામ કરી નાંખવાની તેમજ તેના ભાઈ તથા મોટાબાપાના દિકરાને બીજા માણસોની મદદથી ઉઠાવી જઈ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ધમકીથી ફ્ફડી ઉઠેલ સગીરાએ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં દોડી જઈ પોતાની આપવીતી જણાવી ફરિયાદ નોંધાવતા પોલીસે દર્શન ઈશ્વરભાઈ ડામોર સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.