વિદ્યાર્થીઓને 'ઉપર ચઢાવવા' માટેના ગુજરાત બોર્ડ જાહેર કર્યા નવા નિયમ
વિદ્યાર્થીઓને કોઇ વિષયમાં ૨૫ થી ૩૩ વચ્ચે માર્કસ આવે તો સ્કૂલ અથવા શિક્ષક તેને નિયમ અનુસાર ગ્રેસિંગ માર્ક આપી શકે
અમદાવાદ તા. ૨૯ : ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજયુકેશન બોર્ડ (GSHSEB) દ્વારા મંગળવારના રોજ ધોરણ ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રમોટ કરવાના નિયમોની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ ૯ અને ૧૧ના અભ્યાસક્રમ બદલાઈ જવાને કારણે આ નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
નવા નિયમ મુજબ, કોઈ પણ વિષયમાં પાસ થવા માટે વિદ્યાર્થીએ ઓછામાં ઓછા ૩૩ માકર્સ લાવવા જરૂરી છે. જો કોઈ વિદ્યાર્થીના કોઈ વિષયમાં ૨૫ અથવા ૨૫દ્મક ૩૩ વચ્ચે માકર્સ આવે છે તો સ્કૂલ અથવા જે તે વિષયના શિક્ષક તેને નિયમ અનુસાર ગ્રેસિંગ માર્ક આપી શકે છે. આ શૈક્ષણિક સત્રથી નવો નિયમ લાગુ પડશે.
GSHSEB માન્ય દરેક શાળામાં આ પરિપત્ર મોકલવામાં આવ્યો છે. નવા નિયમ અનુસાર, ગમે તેટલા વિષય હોય, વિદ્યાર્થીને મહત્તમ ૧૫ ગ્રેસિંગ માકર્સ આપી શકાશે. વિદ્યાર્થીના ઓવરઓલ પાસિંગ પર્સન્ટેજ અને જે વિષયમાં તે નાપાસ થયો હોય તેમાં તેણે મેળવેલા માકર્સને આધારે ગ્રેસ માકર્સ આપવામાં આવશે.
જો કોઈ શાળા બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમો કરતા વધારે કડક નિયમો લાગુ કરવા માંગે છે તો તેમણે બોર્ડની મંજૂરી લેવાની રહેશે.(૨૧.૧૨)