ગુજરાત
News of Wednesday, 29th June 2022

કચ્‍છના પશુઓમાં ફેલાતો લમ્‍પી સ્‍કિન ડીસીઝના રોગથી અનેક ગાયોના મોત

ગાયના શરીર પર ફોડલા થવા, પગમાં સોજા આવવા અને તાવના લક્ષણોથી હજારો ગાયો પર જોખમ

ભુજઃ કચ્‍છ પંથકમાં લમ્‍પી સ્‍કિન ડીસીઝ રોગ પશુઓમાં ફેલાતા માલધારીઓમાં ભય ફેલાયો છે. મુખ્‍યત્‍વે આ રોગ ગાયોને થાય છે. શરીર પર ફોડલા થવા, પગલે સોજા આવવા અને તાવ આવવા એ આ રોગના મુખ્‍ય લક્ષણો છે. જેનાથી ઘણી ગાયો મૃત્‍યુ પામી છે. માખી અને ઇતરડી જેવી જંતુઓથી ફેલાતો આ રોગને જલ્‍દીથી કાબુમાં લેવામાં આવે તેવી માંગ માલધારીઓએ કરી રહ્યા છે.

જિલ્લામાં માનવ વસ્તી કરતાં પશુધન વધારે છે. કચ્છ જિલ્લામાં 20 લાખ જેટલું પશુધન છે. જેમ માનવીને વિવિધ જાતના રોગો થતા હોય છે તેવી જ રીતે માંડવી, અબડાસા અને લખપત તાલુકામાં છેલ્લા થોડા દિવસોથી ગાયોમાં લમ્પી સ્કિન ડીસીઝ નામનો રોગ ફેલાયો છે. જેને કારણે ગાયોને શરીર પર ફોડલા પડવા ઉપરાંત તાવ પણ આવે છે, તો ખેડૂતો, માલધારીઓનું કહેવું છે કે અનેક ગાયોના મોત પણ થયા છે.

સરહદી જિલ્લા કચ્છના તાલુકામાં વર્ષોથી પશુપાલન સાથે સંકળાયેલા મોટા માલધારીઓ પાસે 5000થી 6000 જેટલી ગાયો છે. હાલમાં અહીંની ગાયોમાં એક વિચિત્ર બીમારી જોવા મળી રહી છે. આ બીમારીમાં ગાયોને સમગ્ર શરીર પર ઠેર ઠેર ફોડલા થઈ જાય છે. સાથે જ માલધારીઓનું કહેવું છે કે, ગાયોના પગમાં સોજા પણ જોવા મળે છે. પશુઓમાં થતાં આ પ્રકારના રોગને લમ્પી સ્કિન ડીસીઝ તરીકે ઓળખવામાં આવે છે.

માંડવીના બીદડામાં મોટેભાગે લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. બીદડા ગામમાં ગાયોની સંખ્યા ખૂબ વિશાળ છે અને હાલમાં આ ગાયોમાં લમ્પી સ્કિન ડીસીઝ નામની બીમારી ફેલાઈ છે. જેના કારણે આ વિસ્તારની હજારો ગાયો પર જોખમ ઉભુ થયું છે. તો ગાયોમાં આ બીમારી ફેલાયા બાદ અનેક ગાયોના મોત થયા હોવાનું પણ ખેડૂતો, માલધારીઓ જણાવી રહ્યા છે, જેથી વિસ્તારના માલધારીઓમાં ભય ફેલાયો છે. ગાયોને ચેપી રોગ થવાથી રોગચાળો ફાટી નીકળે તે પહેલાં પગલાં ભરવાની માંગ તેમજ ગાયો જે મહામુલું પશુધન બચાવવાની પણ એટલી જ જરૂર છે.

લમ્પી સ્કિન ડીસીઝ ગાયોમાં ફેલાયા બાદ ગામની અનેક ગાયોના મોત પણ થયા છે. જે કારણે વિસ્તારના માલધારીઓમાં પોતાની ગાયોને લઈને ચિંતા વધી છે. હાલ ઉનાળો શરૂ થતાં ઘાસચારા અને પાણીની સમસ્યા પણ વિકટ છે ત્યારે ગાયોમાં ફેલાયેલી આ બીમારીના કારણે માલધારીઓમાં આર્થિક નુકસાનની ભિતી પણ સેવાઈ રહી છે. માલધારી તો માંડવી તાલુકાના ગોધરા, કોડાય, બીદડા સહિતના મોટા ગામડાઓમાં ગાયોનો મૃત્યુ આંકવધતો જાય છે. કચ્છમાં આ દરરોજ આંક સેકડોમાં જાય તો પશુધન અને તેના સંલગ્ન લોકોને મોટી પરેશાની થાય છે.

જિલ્લા નાયબ પશુપાલન નિયામક ડૉ. હરેશ ઠક્કરે Zee મીડિયા ને જણાવ્યું હતું કે, આ રોગ માટે યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પશુઓના લોહીના સેમ્પલ લઈને તેને પરીક્ષણ માટે મોકલાયા છે. તદઉપરાંત ગાયોને એન્ટીબાયોટિક દવાઓ તેમજ વિટામિનની દવાઓ પણ અપાઈ રહી છે. જેથી રિકવરી ઝડપી બને. આ રોગ સામાન્યપણે માખી ઇતરડી જેવા જંતુઓથી ફેલાય છે અને તેમને નિયંત્રણમાં રાખવા પણ ખૂબ જરૂરી બને છે.

(5:21 pm IST)