આણંદ નજીક હાડગુડમાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું
આણંદ: નજીક આવેલા હાડગુડ ગામે રહેતી એક પરિણીતાએ પતિ, સાસુ-સસરાનો શારીરિક તેમજ માનસિક ત્રાસ અસહ્ય થઈ જતાં તેણીએ ગઈકાલે બપોરના સુમારે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ અંગે શહેર પોલીસે ત્રણેય વિરૂધ્ધ આપઘાત કરવા માટે દુષ્પેરણ કરવાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નવા નજુપુરા ગામે રહેતા અને કોન્ટ્રાક્ટરનું કામકાજ કરતા લીલાભાઈ કાનજીભાઈ રાઠોડની પુત્રી ભારતીબેનના લગ્ન પાંચેક વર્ષ પહેલાં હાડગુડના ઝઘડીયાપુરા ખાતે રહેતા રાજેશભાઈ કાંતિભાઈ રાઠોડ સાથે થયા હતા. શરૂના બે વર્ષો સુખરૂપ ચાલ્યા હતા જેને લઈને એક સંતાનપ્રાપ્તી થઈ હતી પરંતુ ત્યારબાદ પતિ અને સાસુ નંદાબેન તેમજ સસરા કાંતિભાઈ દ્વારા અવાર-નવાર દહેજની માંગણી ચાલુ કરી દેવામાં આવતાં પોતાની દીકરીનો ઘરસંસાર ના બગડે તે માટે લીલાભાઈ પૈસા આપતા હતા. તેમ છતાં પણ તેણી પર ત્રાસ ગુજારતાં પરિણીતાએ પોતાના પિતાને જો તેડી નહીં જાય તો આપઘાત કરી લેશે તેમ ફોન કરીને જણાવતાં લીલાભાઈ પોતાની દીકરીને પોતાના ઘરે લઈ ગયા હતા.