નડિયાદના વડતાલમાં દારૂની બાતમી આપી હોવાનો વ્હેમ રાખી ચાર ઈસમોએ યુવકને ઢોરમાર મારતા ફરિયાદ
નડિયાદ: તાલુકાના વડતાલ તાબે કિશોરપુરમાં રહેતાં એક મહિલા સહિત કુલ ચાર ઈસમોએ વડતાલના એક ઈસમને દારૂની બાતમી આપતો હોવાનો વ્હેમ રાખી માર મારતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના વડતાલમાં આવેલ ભાથીજી મંદિર નજીક રહેતાં વિજયભાઈ રમેશભાઈ પરમાર આજરોજ સવારના સમયે પોતાના ઘર નજીક આવેલ એક દુકાને ઊભા હતાં. તે વખતે વડતાલ તાબે કિશોરપુરમાં રહેતાં શૈલેષભાઈ ઉર્ફે ગીધો જગદીશભાઈ પરમાર એકાએક ત્યાં આવી ચડ્યો હતો અને પોલીસને મારી દારૂની બાતમી કેમ આપુ છું તેમ કહી વિજયભાઈ જોડે ઝઘડો કરવા લાગ્યાં હતાં. ઝઘડો ઉગ્ર બનતાં શૈલેષભાઈ એ તેમની માતા, ભાઈ સંજયભાઈ જગદીશભાઈ પરમાર અને અર્જુનભાઈ ગોવિંદભાઈ પરમારને ફોન કરી બોલાવ્યાં હતાં. અને ચારેય જણાં ભેગા મળી વિજયભાઈ પરમારને ગડદાપાટુનો માર મારવા લાગ્યાં હતાં. તેમજ ફરીથી પોલીસમાં અમારી દારૂની બાતમી આપીશ તો તને જીવતો નહી રહેવા દઉ તેવી જાનથી મારી નાંખવાની ધમકી વિજયભાઈ પરમારને આપી હતી.