ગુજરાત
News of Saturday, 29th June 2019

અમદાવાદની ભવ્ય રથયાત્રાનું ડ્રોનથી હવાઈ નિરીક્ષણ, ૯૪ જેટલા વધારાના સીસીટીવી કેમેરા

સુરક્ષાની દ્રષ્ટિએ કામગીરીનું ૨૬ ભાગમાં વિભાજનઃ સમીક્ષા કરતા ગૃહમંત્રી પ્રદીપસિંહ : બંદોબસ્તમાં ૮ આઈ.જી.પી., ૨૩ ડી.સી.પી., ૪૪ એ.સી.પી.: ૭ મીની કંટ્રોલ રૂમ

ગાંધીનગર, તા. ર૯ : અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૨ મી રથયાત્રા ૪ થી જુલાઈના રોજ શહેરમાં નીકળનાર છે. આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે અને શ્રદ્ઘાપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ગૃહ વિભાગ સંપૂર્ણ સજ્જ છે. આ માટે હાથ ધરાયેલી વ્યવસ્થાની ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે ગાયકવાડ હવેલી સ્થિત ક્રાઈમ બ્રાન્ચ કચેરી ખાતે સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં ગૃહ રાજયમંત્રીશ્રી જાડેજાએ જણાવ્યું હતું કે, રથયાત્રા સમગ્ર દેશના શ્રદ્ઘાળુઓ માટે આસ્થાના કેન્દ્ર સમાન છે. આ યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ ગૃહવિભાગે વિશેષ કાળજી લીધી છે. જગન્નાથ મંદિર ઉપરાંત શહેરમાં અન્ય રથયાત્રાઓ પણ નીકળે છે તે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે રાજય સરકાર કટિબદ્ઘ છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર રથયાત્રાનો રૂટ ૨૬ ભાગમાં સુરક્ષાના હેતુસર વહેંચવામાં આવ્યો છે. રથયાત્રામાં સુરક્ષા અને સલામતી માટે એસ.આર.પી. અને સી.એ.પી.એફ. મળી ૩૭ ટૂકડી પણ તહેનાત કરવામાં આવી છે. આ રથયાત્રામાં ૩ રથ, ૧૯ હાથી. ૧૦૦ ટ્રક, ૩૦ અખાડા, ભજન મંડળીઓ, બેન્ડ તથા ૭ મોટરકાર જોડાનાર છે.

રથ, હાથી, ટ્રકો અખાડા અને ભજન મંડળી માટે મુવિંગ બંદોબસ્ત રખાયો છે, જેનું સુપરવિઝન ક્રાઈમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનર કરશે. ૫ નાયબ પોલીસ કમિશનર, ૧૫ મદદનીશ પોલીસ કમિશનર, ૩૭ પોલીસ ઇન્સ્પેકટર, ૧૭૭ પોલીસ સબ ઇન્સ્પેકટર સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાશે.

રેન્જ ૪ થી ૨૬ માટે સ્ટેટિક બંદોબસ્ત રહેશે. આ દરેક રેન્જના ઇન્ચાર્જ અધિકારી તરીકે એસ.પી. કક્ષાના અધિકારી રહેશે. આ બંદોબસ્તમાં ૮ આઈજી, ૨૩ નાયબ પોલીસ કમિશનર, ૪૪ મદદનીશ પોલીસ કમિશનર, ૧૧૯ પોલીસ ઇન્સ્પેકટર તથા હોમગાર્ડ જવાનો મળી કુલ ૨૫ હજાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તહેનાત રહેશે

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં અમદાવાદ શહેરમાં કાર્યરત સી.સી.ટી.વી. કેમેરા ઉપરાંત કુલ ૪૫ સ્થળોએ ૯૪ જેટલા સી.સી.ટી.વી. કેમેરાથી મોનિટરિંગ કરાશે. રુટ પર આવતા ૭ પોલીસ સ્ટેશનમાં સી.સી.ટી.વી. કેમેરા દ્વારા સર્વેલન્સ કરાશે. સમગ્ર રૂટ પર સફાઈ અને પીવાના પાણીની વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાશે. રથયાત્રા માટે કોર્પોરેશન દ્વારા એક કંટ્રોલરૂમ પણ કાર્યરત કરાશે. ડ્રોનથી સમગ્ર રથયાત્રા રૂટનું હવાઈ નિરીક્ષણ કરાશે. આ કેમેરા દ્વારા શંકાસ્પદ પ્રવૃતિઓને ઓળખીને તેને કાઉન્ટર કરી શકાશે તેમ જણાવીને મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આકસ્મિક સંજોગોને પહોંચી વળવા ૧૫ મ્ય્વ્ ટીમ રાખવામાં આવી છે. રૂટ પર આવતા આઠ પોલીસ સ્ટેશનોમાં મીની કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરાઇ છે. સાથે-સાથે શહેરીજનોની મદદ માટે પોલીસ દ્વારા ૧૭ શ્નહ્વદ્ગ સહાયતા કેન્દ્ર' શરૂ કરાનાર છે. જયારે રૂટ પર આવતા ૭ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી દ્વારા પેટ્રોલિંગ કરાશે. રથયાત્રામાં મોબાઈલ વાહનો પર સી.સી.ટી.વી. કેમેરા ગોઠવાશે.

બેઠક બાદ ગૃહ રાજયમંત્રીશ્રીએ રથયાત્રાના સમગ્ર રૂટનું ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રી દરિયાપુર એસ. ડિવિઝન થી થઇ તંબુ ચોકી થઇ દિલ્લી ચકલા ગયા હતા, ત્યાંથી મંત્રીશ્રી દિલ્લી દરવાજા થઇ શાહપુર, માણેકચોક થઇ મ્યુનિસિપલ કોર્પોરેશન સુધીના રુટનું નિરિક્ષણ કર્યું હતું. મંત્રીશ્રી સાથે પેટ્રોલિંગમાં રાજયના પોલીસ મહાનિર્દેશક શ્રી શિવાનંદ ઝા, અમદાવાદ પોલીસ કમિશનર શ્રી એ.કે.સિંદ્ય સહિતના વરિષઠ પોલીસ અધિકારીઓ જોડાયા હતા.ઙ્ગ

તંબુ ચોકી ખાતે બંને સમૂદાયના સામાજિક અને રાજકીય આગેવાનોએ પણ મંત્રીશ્રીની રૂબરૂ મુલાકાત કરીને રથયાત્રાને સંપૂર્ણ સફળતા મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

(4:16 pm IST)