ગુજરાત
News of Saturday, 29th June 2019

હવે દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ : અંકલેશ્વર જળબંબોળ

ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી થતા તંત્ર સાબદુ : અંકલેશ્વર તાલુકામાં ૭ ઇંચથી વધુ વરસાદ : જોરદાર વરસાદની ચેતવણીથી માછીમારોને દરિયામાં ન જવા આદેશ : દક્ષિણ પશ્ચિમ મોનસુન વધુ સક્રિય

અમદાવાદ,તા.૨૮ : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવ્યા બાદ તંત્ર સાબદુ થઇ ગયું છે. એનડીઆરએફની ૧૫થી વધુ ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. બચાવ અને રાહત ટુકડીઓ પણ તૈયાર રાખવામાં આવી છે. મુંબઈમાં ભારે વરસાદ પડ્યા બાદ હવે ગુજરાતમાં પણ દક્ષિણ પશ્ચિમ મોનસુન વધુ ઝડપથી આગળ વધી રહ્યુ ંછે. ગુજરાતના વધુ ભાગોમાં દક્ષિણ પશ્ચિમ મોનસુને એન્ટ્રી કરી લીધી છે. દ્વારકા, અમદાવાદ, ભાપોલ, જબલપુર, સુલ્તાનપુર, લખીમપુરખેરી, મુક્તેશ્વર મારફતે મોનસુનની નોર્મલ મર્યાદા આગળ વધી ચુકી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે જેમાં ભરૂચ, સુરત, પંચમહાલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ જુદા જુદા ભાગોમાં વરસાદ પડ્યો છે. અતિભારે વરસાદની આગાહી હોવાથી માછીમારોને દરિયામાં ન જવા માટે કહેવામાં આવ્યું છે. વલસાડ, નવસારી, તાપી, ડાંગ, સુરત, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. અમદાવાદમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી લોકો સાવચેત બન્યા છે. રાજયમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મોટાભાગનાં જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ખુબ સારો વરસાદ પડ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લા-તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. ભરૃચ જિલ્લાના અંક્લેશ્વર તાલુકામાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૧૭૨ મી.મી. એટલે કે સાત ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૨૫ જિલ્લાઓના ૯૭ તાલુકાઓમાં મેઘમહેર યથાવત રહી છે. જ્યારે ૨૯ તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને અન્ય ૬૮ તાલુકાઓમાં એક ઇંચથી ઓછો એટલે કે ઝરમર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૮ જુન ૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ૯૭ તાલુકાઓમાં સાત ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જેમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોય તેવા ૪ તાલુકાઓનો સમાવેશ થાય છે. ભરૃચ જિલ્લાના અંક્લેશ્વર તાલુકામાં ૧૭૨ મી.મી., ભરૃચ તાલુકામાં ૧૧૮ મી.મી., સુરત જિલ્લાના કામરેજમાં ૧૧૦ મી.મી. અને માંગરોળમાં ૧૦૫ મી.મી. વરસાદ વરસ્યો હતો. પંચમહાલ જિલ્લાનાં જાંબુઘોડામાં ૭૫ મી.મી એટલે કે ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૬ તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને ત્રણ ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. જેમાં સુરતના પલસાણામાં ૬૬ મી.મી., ભરૃચના વાલીયામાં ૬૪ મી.મી., નવસારીના ગણદેવીમાં ૬૩ મી.મી., છોટાઉદેપુરના ક્વાંટમાં ૫૯ મી.મી., બનાસકાંઠાના સૂઇગામ અને સુરેન્દ્રનગરનાં  લખતરમાં ૫૨ મી.મી. વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૧૮ તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને  બે ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. જેમાં નાંદોદ, હાંસોટ, જાંબુસર, ચિખલી, રાધનપુર, સાવરકુંડલા, દેત્રોજ, શિનોર, ગીર ગઢડા, સુરતના માંડવી, પાદરા, ઝઘડીયા, જલાલપોર, વાપી, વઘઈ, જેતપુર પાવી, હાલોલ તેમજ નવસારી તાલુકાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શંખેશ્વર, બોટાદ, ગઢડા, ખેરગામ, કરજણ, પારડી, મહુવા(સુરત), ધરમપુર, હારીજ, સરસ્વતી, કાલાવાડ, કોડીનાર, નેત્રાંગ, જોટાણા, સુત્રાપાડા, બોરસદ, તિલકવાડા, પડધરી, તળાજા, વલસાડ, બોડેલી, વાંસદા અને આંકલાવ મળીને કુલ ૨૩ તાલુકાઓમાં અડધા ઇંચથી વધુ અને એક ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. જ્યારે માણસા, ચોર્યાસી, સાણંદ, ડભોઇ, વસો, ઉમરપાડા, ચાણસ્મા, મહુવા(ભાવનગર), માળિયા, વિરમગામ, સંખેડા, વાગરા, કુકરમુંડા, બારડોલી, સાંતલપુર, ભાભર, ધાનેરા, માતર અને કપરાડામાં મળી કુલ ૧૯ તાલુકાઓમાં ૬ મી.મી.થી વધુ અને અડધા ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. અન્ય ૨૬ તાલુકાઓમાં ૬ મી.મી.થી ઓછો ઝરમર વરસાદ વરસ્યો હતો.

ક્યાં કેટલો વરસાદ.....

અમદાવાદ, તા. ૨૮ : છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૯૭ તાલુકાઓમાં સાત ઇંચ સુધીનો વરસાદ થયો છે. ચાર તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ થયો છે જે નીચે મુજબ છે.

સ્થળ.......................................... વરસાદ (મીમીમાં)

અંકલેશ્વર....................................................... ૧૭૨

ભરૂચ તાલુકા.................................................. ૧૧૮

કામરેજ......................................................... ૧૧૦

માંગરોળ………………………………………………….૧૦૫

(8:11 pm IST)