સુરતના પાંડેસરામાં ચાર સંતાનના પિતાની હત્યાનો ભેદ ખુલ્યો
સુરત: પાંડેસરામાં ચાર સંતાનના પિતાની ઘાતકી હત્યા સંદર્ભે પોલીસે મૃતકના રૃમમાંથી મળેલા લોહીવાળા પગલાંના નિશાનના આધારે રૃમથી માત્ર ૩૦ મીટર દૂર ચિકનની કેબીન ધરાવતા હમવતની યુવાનને ઝડપી લીધો હતો. વિગતો મુજબ મૂળ ગોરખપુરના વતની અને સુરતમાં પાંડેસરા ગોવાલક રોડ શક્તિનગર સોસાયટીમાં રહેતા શ્રમજીવી ઉદયભાન ઉર્ફે ગુડ્ડુ રામજી પાસવાન (ઉ.વ. ૩૦)ની ઘાતકી હત્યા કરેલી લાશ તેના જ રૃમમાં લોહીના ખાબોચીયામાં ગત સોમવારે સવારે મળી હતી. પોલીસને મૃતકના રૃમમાંથી લોહીવાળા પગલાંના નિશાન મળી આવ્યા હતા. આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા મૃતકના રૃમથી માંડ ૩૦ મીટરના અંતરે ચિકનની કેબીન પાસે પણ તેવા જ લોહીવાળા પગલાના નિશાન મળી આવ્યા હતા. આથી પોલીસે ચિકનની કેબીન ધરાવતા અબ્દુલ કાદીર અસગરઅલી (ઉ.વ. ૨૨, રહે. પ્લોટ નં. ૭૦, જીલાની સોસાયટી, ઉનપાટીયા, મૂળ રહે. દૈયાપુર મંગોરા ગામ, જી. કૌસંબી, ઉત્તરપ્રદેશ)ની અટકાયત કરી પૂછપરછ કરતાં તેણે ઉદયભાનની હત્યાની કબુલાત કરી હતી.