વડોદરાના આજવા બ્રિજ નજીક વેપારીને આંતરી બુકાનીધારી 3.33 લાખ તડફાવી છૂમંતર
વડોદરા: શહેર નજીક આજવા બ્રિજના સર્વિસ રોડ પરથી બુધવારની રાત્રે બાઇક પર પસાર થતા વેપારીને આંતરી બે બાઇક સવારો રૃ.૩.૩૩ લાખ કિંમતની રોકડ રકમ તેમજ બેંકને લગતા દસ્તાવેજો મુકેલ બેગ ઉઠાવી હાઇવે પરે ફરાર થઇ ગયા હતાં. આજવારોડ વિસ્તારમાં કિશનવાડી નજીક પરમધામ સોસાયટીમાં રહેતા દિનેશ કિરણભાઇ માછી ગોપાલ નમકીનના ડિસ્ટ્રીબ્યુટર તરીકે વેપાર કરે છે. નેશનલ હાઇવે પર સયાજી માર્કેટની દુકાને રાજકોટથી માલ આવ્યા બાદ ટેમ્પા દ્વારા શહેરમાં ડિસ્ટ્રીબ્યુશન તેઓ દ્વારા કરવામાં આવે છે. ગઇકાલે સવારે તેઓ ગોડાઉન કમ ઓફિસ ગયા હતાં અને આખો દિવસ કામગીરી કર્યા બાદ રાત્રે નવ વાગે ગોડાઉન બંધ કર્યુ હતું અને આખા દિવસના વકરાની રકમ રૃ.૩.૩૩ લાખ તેમજ ચેકબુક, સ્લીપબુક અને બેંકના અન્ય કાગળો મુકેલ કાળા રંગની ચેન વાળી બેગ લઇને તેઓ બાઇક પર ઘેર આવવા માટે નીકળ્યા હતાં.