ભાજપ માટે 'શુકનિયાળ' સાબિત થયેલ ખાનપુર કાર્યાલયનું રીનોવેશન
અમદાવાદ તા. ૨૯: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે શાસક ભાજપે સંગઠનાત્મક દ્રષ્ટિએ કામગીરી શરૂ કરી દીધી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ માર્ગદર્શન આપી ચુકયા છે. ચૂંટણીની તૈયારી સાથે પાર્ટીનું ખાનપુર સ્થિત કાર્યાલય નવીનિકરણ પામી રહયું છે. ભાજપ માટે આ લક્કી કાર્યાલય ગણાય છે.
બેઠક વ્યવસ્થા, કેબીન, મીડિયારૂમ, પ્રતિક્ષાખંડ વગેરેના રૂપરંગ બદલાઇ રહયા છે. દિવાળી સુધીમાં રીનોવેશન કામપુરૂ થઇ જશે.
ગઇ લોકસભાની ચૂંટણી પૂર્વે ખાનપુર કાર્યાલયથી પ્રદેશ કાર્યાલયનું કોબા કમલમમાં નવપ્રસ્થાન કરવામાં આવેલ તે વખતથી ખાનપુર કાર્યાલય અમદાવાદ શહેરના પાર્ટી કાર્યાલય તરીકે ઉપયોગમાં છે. ખાનપુર કાર્યાલય અગાઉ જેવી ચહલપહલ નથી. કેશુભાઇ પટેલ અને નરેન્દ્રભાઇ મોદી ભુતકાળમાં ચૂંટણીના પરિણામ બાદ ખાનપુર કાર્યાલય બહાર વિજયસભા યોજતા હતા.