સુરતના સુંવાલી દરિયામાં પાંચ લોકો ડૂબ્યા : એક યુવાનનો મૃતદેહ મળ્યો :ચારની શોધખોળ
ભટાર વિસ્તારના આઝાદનગર અને ઈચ્છાપુર વિસ્તારના કુલ 5 લોકો સુવાલી દરિયાકિનારે નાહતા સમયે ડૂબી ગયા
સુરતના સુંવાલી દરિયા કિનારે આજે રવિવાર હોવાને કારણે મોટી સંખ્યામાં સહેલાણીઓ મોજ મસ્તી માટે દરિયા કિનારે પહોંચ્યા હતા. ભટાર વિસ્તારના આઝાદનગર અને ઈચ્છાપુર વિસ્તારના કુલ 5 લોકો સુવાલી દરિયાકિનારે નાહતા સમયે ડૂબી જવાની ઘટના સામે આવતા ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતું. ફાયર વિભાગના અધિકારીઓએ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધા હતા. જો કે હજુ પણ 4 લોકોની કોઈ ભાળ મળી નથી. ત્યારે ફાયર બ્રિગેડની ટીમે સોમવારે લાપતા ચારેયની શોધખોળ હાથ ધરશે.
રવિવારે ભટાર વિસ્તારના આઝાદનગરમાંથી યુવકો નાહવા ગયા હતા. તે દરમિયાન એકાએક જ 3 યુવકો પાણીમાં ડૂબી ગયા હતા. જેમાં 1 યુવકનું મૃતદેહ મળી આવ્યો હતો. અન્ય 3ની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ઈચ્છાપુરનો પણ 1 યુવક પાણીમાં ડુબી જતાં તેની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે. આમ કુલ 4 લોકોની શોધખોળ શરૂ કરાઇ છે.
ક્રિષ્નાનગર સોસાયટીમાં રહેતા 22 વર્ષીય સચીનકુમાર જાતવ દરિયામાં ડૂબી જતા ફાયર વિભાગ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ભટાર વિસ્તારના આઝાદનગરમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા સાગર પ્રકાશ 23 વર્ષનો છે, તે ડૂબી જતા મોતને ભેટ્યો છે. તેમજ આઝાદનગરમાં રહેતા શ્યામ સંજય સાઉદકર અને અકબર યુસુફ શેખ દરિયામાં ડૂબી જતાં તેની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે. આઝાદ નગરના જે ચાર યુવકો ડૂબ્યા હતા, તે પૈકી વિક્રમ દિલીપ સાલવેને બચાવી લેવામાં આવ્યો હતો