સરકારે 5 વર્ષથી ડિલર્સ કમિશન ન વધારતા ગુજરાતમાં પેટ્રોલ પંપના સંચાલકો ફરી લડતના મૂડમાં: 31 મેના રોજ ગુજરાતમાં 'નો-પરચેઝ આંદોલન'ના મંડાણ
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનની એવી માંગ છે કે, ડીલર માર્જિનમાં વધારો કરવામાં આવે તેમજ એક્સાઇઝ ડ્યુટી ઘટાડવામાં આવે ત્યારે અઠવાડિયાના અંતમાં અને તહેવારના સમયમાં તેનો ઘટાડો ન કરવામાં આવે
ગાંધીનગર સ્ ગુજરાતમાં પેટ્રોલ પંપ સંચાલકો ફરીવાર લડતના મૂડમાં આવી ગયા છે. 31મેના રોજ પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા ગુજરાતમાં નો-પરચેઝ આંદોલન કરાશે. 31મેના રોજ પંપના સંચાલકો ઇંધણની ખરીદી નહીં કરે. છેલ્લાં પાંચ વર્ષથી સરકારે ડીલર્સ કમિશન ન વધારતા આ આંદોલન હાથ ધરાશે. દેશના 16 રાજ્યો સાથે ગુજરાતમાં નો-પરચેઝ આંદોલન કરાશે. જો કે, ગ્રાહકોની મુશ્કેલી નિવારવા માટે સોમવારે પંપોમાં જરૂરી સ્ટોક કરી લેવાશે.
વધુમાં જણાવી દઇએ કે, ગ્રાહકો હેરાન ન થાય તે માટે થઈને પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ગેસનું વેચાણ ચાલુ રાખવામાં આવશે તેવી ખાતરી પેટ્રોલ પંપના સંચાલકોએ આપી છે. પરંતુ 31મેના રોજ પંપના સંચાલકો ઇંધણની ખરીદી નહીં કરે.
હાલમાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનની એવી માંગ છે કે, ડીલર માર્જિનમાં વધારો કરવામાં આવે તેમજ એક્સાઇઝ ડ્યુટી ઘટાડવામાં આવે ત્યારે અઠવાડિયાના અંતમાં અને તહેવારના સમયમાં તેનો ઘટાડો ન કરવામાં આવે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે શું રાજ્ય સરકાર તેમની માંગ પૂરી કરે છે કે નહીં.