ગુજરાત
News of Friday, 29th May 2020

લોકડાઉન-5ને લઇને ગુજરાતમાં ફરીથી બધું બંધ કરી દેવાશે એ માત્ર અફવા: લોકોએ ખોટી અફવાથી દૂર રહેવા મુખ્યમંત્રી રૂપાણીની અપીલ

ગાંધીનગરઃ સમગ્ર દેશમાં અને રાજ્યમાં લોકડાઉન 4 શરૂ છે. જે 31 મેનાં રોજ પૂર્ણ થવા જઇ રહ્યું છે. ત્યારે રાજ્યમાં ચાલી રહેલા લોકડાઉનનાં ચોથા તબક્કામાં આપવામાં આવેલી છૂટછાટ બાદ ગુજરાતમાં અનેક એવાં વિસ્તારો છે જ્યાં કોરોનાનાં કેસો વધ્યાં છે.એમાંય અમદાવાદમાં તો કોરોનાએ કાળો કહેર મચાવી દીધો છે. ત્યારે રાજ્યમાં અને દેશમાં વધતા જતા કોરોના સંક્રમિત કેસોનાં આંકડાઓ વચ્ચે રાજ્યમાં લોકો એવી અફવા ફેલાવી રહ્યાં છે કે લોકડાઉનનો પાંચમો તબક્કો આવશે તેમાં હવે આપવામાં આવેલી તમામ છૂટછાટોને બંધ કરી દેવામાં આવશે.

કે જે વિસ્તારોમાં કોરોના પહેલાથી જ વકર્યો હતો ત્યાં હજી પણ કોરોના નિયંત્રણમાં નથી આવ્યો. જેને લઇને છેલ્લાં કેટલાંક દિવસથી સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા થઇ ગયાં છે. જો કે ફરી લોકડાઉન 5માં બધું જ બંધ કરી દેવામાં આવશે તેવી અફવા વચ્ચે અને સોશિયલ મીડિયામાં આવાં ફરતા થયેલા મેસેજને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી છે કે, ‘1લી જૂનથી લોકડાઉન-5 અમલમાં આવશે અને ફરીથી બધું બંધ કરી દેવામાં આવશે, એવી વાતો જે ફેલાઈ રહી છે. તે વાતો માત્ર અફવા છે અને નાગરિકોએ આવી ખોટી અફવાઓથી દૂર રહેવું જોઇએ. તેમ મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે.’

(7:39 pm IST)