સુરતના પીપલોદમાં અગાઉ બે પરિવાર વચ્ચે થયેલ ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું:ચપ્પુ વડે થયેલ હુમલામાં ઈજાગ્રસ્ત
સુરત: શહેરના પીપલોદમાં 7 વર્ષ અગાઉ બે પરિવાર વચ્ચે થયેલા ઝઘડામાં ચપ્પુ વડે હુમલો કરી ઇજા પહોંચાડવાની અદાવતમાં ગત રાત્રે મગદલ્લા ઓવર બ્રિજ નીચે તાડી પીવાના બ્હાને લઇ જઇ ચપ્પુ વડે સામ-સામે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હત્યાનો પ્રયાસ કરતા ઉમરા પોલીસ દોડતી થઇ ગઇ છે. પોલીસે બંન્ને પક્ષે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પીપલોદ હળપતીવાસમાં રહેતા ભરત ઉર્ફે ચેનુ બાબુ રાઠોડ (ઉ.વ. 24) ના મામા રમેશ છનાજી રાઠોડે 7 વર્ષ અગાઉ શની રાઠોડ નામના યુવાનના પરિવાર સાથે ઝઘડો થતા તેઓ વચ્ચે મારામારી થઇ હતી. જેમાં રમેશે શનીને ચપ્પુ મારી દેતા બંન્ને પરિવાર વચ્ચે દુશ્મનાવટના બીજ રોપાયા હતા અને બદલાની ભાવનાથી પીડાતા હતા. જે અંતર્ગત ભરત રાઠોડ અને શનીના માસીના દિકરા મનીષ રાજુ રાઠોડ (ઉ.વ. 20) બદલો લેવા માટે તકની રાહ જોઇ રહ્યા હતા. દરમ્યાનમાં ભરત અને મનિષ વચ્ચે પંદરેક દિવસ અગાઉ બોલચાલ શરૂ થઇ હતી અને તેઓ મગદલ્લા ઓએનજીસી બ્રિજ નીચે સાથે તાડી પીવા પણ જતા હતા. દરમ્યાનમાં ગત રાત્રે 12.15 ક્લાકે મનિષ અને ભરત તેમના અન્ય પાંચ મિત્રો સાથે બે મોટરસાઇકલ પર ઓએનજીસી બ્રિજ નીચે તાડી પીવા ગયા હતા. જ્યાંથી તેઓ પરત ઘરે જઇ રહ્યા હતા ત્યારે મગદલ્લા પોલીસ લાઇનની પાછળ જુના રસ્તા ઉપર પુલ નજીક ઝાડી ઝાંખરા વાળા રસ્તા પર ભરતે મોટરસાઇકલ ઉભા રખાવી હતી અને ચપ્પુ વડે મનિષ પર હુમલો કરી છાતીના ભાગે એક ઘા મારી દીધો હતો. ભરતે સ્વબચાવમાં મનિષનો હાથ પક્ડી લેતા જમણા હાથની આંગળીમાં ઇજા થઇ હતી. બીજી તરફ મનિષ પણ બદલો લેવા માટે ચપ્પુ સાથે રાખતો હતો અને તેણે પણ પોતાના ચપ્પુ વડે ભરત પર હુમલો કરી પેટમાં બે ઘા મારી દીધા હતા. આ બાબતની જાણ થતા બંન્નેના પરિજનો દોડી આવ્યા હતા અને તુરંત જ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.