અસલાલીમાં યુવકે વિધવાની કુહાડીના ઘા મારી હત્યા કરી
બે મિત્રોનો સાથ લઈ મૃતદેહને કુવામાં ફેંક્યો
અમદાવાદ, તા. ૨૮ : અમદાવાદના છેવાડે આવેલા અસલાલીમાં એક વિધવા મહિલાની માથામાં કુહાડી મારીને અત્યંત ક્રુરતાપૂર્વક હત્યા કરીને તેની લાશને કુવામાં ફેંકી દેવામાં ચકચારી ઘટના સામે આવી છે. મહિલાના ખેતરમાંથી ઘઉં અને સ્પીકરની ચોરી કરનાર યુવકે તેના મિત્ર સાથે મળીને આ ખૂની ખેલ ખેલ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા ત્રણ યુવકોની ધરપકડ કરીછે. અમદાવાદના અસલાલી વિસ્તારમાં આવેલા પાંચ વીઘા ખેતરમાં એકલી રહેતી શોભના ચુનારાની કરપીણ હત્યા કરવામાં આવી છે. ગઈકાલે શોભના ચુનારાના ઘરે તેના સંબંધી આવ્યા હતા જેમાં તેમને ઘરનો દરવાજો ખોલ્યો તો લોહીના નિશાન હતાં. કંઈક અનિચ્છનીય બનાવ બન્યો છે તેવું લાગતાં સંબંધીએ તરત જ તેના પરિવારને જાણ કરી હતી અને પોલીસને જાણ કરી હતી.
ખેતરોમાં એકલી રહેતી શોભનાના ઘરે લોહી હોવાની વાત જાણીને પોલીસ તેમજ પરિવારજનો દોડી આવ્યા હતાં અને તપાસ શરૂ કરી હતી. પોલીસ તેમજ પરિવારજનોએ અલગ અલગ વિસ્તારમાં શોધખોળ શરૂ કરી દીધું પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહીં. જો કે થોડાક સમય બાદ એક કુવા પાસે ઉગેલી ઝાંડીમાં દુપટ્ટો લટકતો પોલીસ અને પરિવારજનોને નજરે પડ્યો હતો. આ દુપટ્ટો બીજા કોઈનો નહીં પરંતુ શોભનાનો હતો જેથી પોલીસ અને પરિવારના લોકો ત્યાં દોડી ગયા હતાં. કુવો ઉંડો હતો જેથી તેમાં કંઈ દેખાયું નહીં જેથી પોલીસે ેતેમના માણસો નીચે ઉતારતા શોભનાના લોહીથી લથપથ હાલતમાં લાશ મળી આવી હતી.
પોલીસને હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી જેમાં ખબર પડી કે નજીકમાં રહેતો એક યુવકે શોભનાના ખેતરમાં ઘઉં અને સ્પીકરની ચોરી કરી હતી જેમાં તેની બબાલ પણ થઈ હતી. પોલીસે તે યુવકની અટકાયત કરીને આકરી પૂછપરછ કરી તો તેણે અન્ય એક યુવક સાથે મળીને હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. ચોરી કરનાર યુવક અને તેના મિત્રએ મોડી રાત્રે શોભનાના માથામાં કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી હતી અને લાશનો નિકાલ કરવા માટે કુવામાં નાખવાનું નક્કી કર્યું હતું. બન્ને યુવકોથી લાશનો નિકાલ નહીં થતાં તેણે અન્ય એક યુવકને બોલાવ્યો હતો. ત્રણેય જણાએ ભેગા થઈને ખાટલાના ગોદળા સહિત શોભનાની લાશને ઉંચકીને કુવામાં ફેંકી દીધી હતી. પોલીસે ત્રણેય યુવકોની અટકાયત કરીને તપાસ શરૂ કરી છે.