૩૦ લાખથી વધારે શ્રમિકો ગુજરાત છોડી ચાલ્યા ગયા
બે દિવસમાં વધુ ૨-૩ લાખ કામદારો થશે રવાના : કુલ ૯.૫૦ લાખ કામદારોને સરકારી-ખાનગી બસોમાં રાજ્ય મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન મોકલ્યા
અમદાવાદ, તા. ૨૮ : રાજ્ય સરકાર દ્વારા પરપ્રાંતિય કામદારોને તેમના વતન મોકલવાની કામગારી કરવામાં આવી રહી છે. સરકારે પરપ્રાંતિય કામદારોને પર આવવાની મંજૂરી આપ્યા પછી ૧ થી ૨૭ મેની દરમિયાન આશરે ૩૦ લાખથી વધુ સ્થળાંતર કામદારો ગુજરાતમાંથી તેમના પોતાના રાજ્યો માટે રવાના થયા હતાં. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, આગામી બે દિવસમાં બીજા બે કે ત્રણ લાખ કામદારો રવાના થશે. ૩૦ લાખથી વધુ પરપ્રાંતિય કામદારો વતન જતા રહ્યા હોવાથી ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ભારે નુકસાન થાય તેવી સંભાવના છે.
સરકારી રેકોર્ડ અનુસાર, ૯૭૪ જેટલી શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં ૧૫.૫૮ લાખથી વધુ સ્થળાંતર કામદારો તેમના રાજ્યોમાં પહોંચાડવામાં આવ્યા છે. જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, તમિળનાડુ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૯.૫૦ લાખ કામદારોને સરકારી અને ખાનગી બસોમાં પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન મોકલવામાં આવ્યા છે. પગપાળા કરીને, સાયકલ અથવા અન્ય ખાનગી વાહનોમાં રાજ્ય છોડીને ગયા હોય તેવા લોકોનો આ આંકડામાં સમાવેશ થતો નથી.
અધિકારીઓનું કહેવું છે કે, રાજ્ય સરકાર પાસે પગપાળા અથવા અન્ય રીતે વતન છોડીને ગયા હોય તેવા લોકોના ચોક્કસ આંકડા નથી. પરંતુ આ સંખ્યા ચારથી પાંચ લાખ લોકોની વચ્ચે હોઈ શકે. સરકારે સ્થળાંતર કામદારોને પાછા ફરવાની મંજૂરી આપતા પહેલા અઠવાડિયામાં ૨૧ લાખ જેટલા કામદારોએ પાછા ફરવા માટે નોંધણી કરાવી હતી.
ગુજરાતમાંથી બીજા રાજ્યોની સંખ્યામાં સ્થળાંતર કરનારા કામદારોની સાથે ગુજરાતમાં એક જિલ્લાથી બીજા જિલ્લામાં કામદારોના સ્થળાંતરમાં પણ વધારો થયો હતો. લોકોએ ભાવનગર, અમરેલી, જામગ્નગર, દાહોદ અને નર્મદા જેવા જિલ્લાઓમાં પરત જવા માટે સુરત, અમદાવાદ, વડોદરા અને અન્ય ઔદ્યોગિક કામો છોડી દીધા હતા.