ગુજરાત
News of Wednesday, 29th May 2019

સુરતની દુઃખદ ઘટનામાં કોઇપણ શખ્સે રાજકીય રોટલા ન શેકવા જોઇએ : એસપીજીના લાલજી પટેલ સુરતની મુલાકાતે

સુરત: સુરતના સરથાણા વિસ્તારમાં બનેલી આગ દુર્ઘટના બાદ એસપીજીના લાલજી પટેલ આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. લાલજી પટેલએ મૃતકોના પરિવારજનોના ઘરે જઇ તેમની મુલાકાત લીધી હતી. તેમને જણાવ્યુ હતુ કે, આ બનાવમાં જવાબદાર અધિકારી સામે પગલા લેવાવા જોઇએ. તેમજ મૃતકોના પરિવારજનોને વધુમાં વધુ સહાય રાજ્ય સરકાર અને સમાજ દ્વારા કરવી જોઇએ. આ સાથે તેઓએ હાર્દિકની મુલાકાત પર જણાવ્યું હતું કે, આવી દુ:ખદ ઘટનામાં કોઇ પણ શખ્સે રાજકીય રોટલો સેકવો જોઇએ નહીં.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં તક્ષશિલા આર્કેડ આગકાંડમાં બે અધિકારીઓને ચાર્જશીટ ઈસ્યૂ કરવામાં આવી છે. પી.ડી. મુનશી અને જયેશ સોલંકીને ચાર્જશીટ ઈસ્યૂ કરાઈ છે. પીડી મુનશીએ તક્ષશિલાની ઈમ્પેક્ટ ફી મંજૂર કરી હતી. જ્યારે જયેશ સોલંકીએ તક્ષશિલા આર્કેડનું C.R.O. ઈસ્યૂ કર્યું હતું. અને તક્ષશિલાના ત્રીજા માળને મંજૂરી આપી હતી. આ સિવાય મહાનગર પાલિકાના 8 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

વરાછા ઝોનના ચીફ સહિત 8 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં ડી.સી. ગાંધીને હાઉસિંગ વિભાગ સોંપવામાં આવ્યો છે. તો એન વી ઉપાધ્યાયને ન્યૂ ઈસ્ટ ઝોનના ચીફ બનવવામાં આવ્યા છે. કે એસ પટેલને ટાઉન પ્લાનિંગ વિભાગ, જે એમ પટેલેને ટાઉન ડેવલપમેન્ટ વિભાગ જ્યારે આર.જે. પંડ્યાને સાઉથ વેસ્ટ ઝોનના વડા બનાવવામાં આવ્યા છે. તો ડી એમ જરીવાલને ઇસ્ટ ઝોનનો હવાલો, જે એમ દેસાઈને સાઉથ ઇસ્ટ ઝોનના વડા બનાવાયા છે અને એ એમ દુબેને સાઉથ ઝોનનો હવાલો સોંપવામાં આવ્યો છે.

તો આર્કેડ આગકાંડને લઈને બે આર્કિટેક્ટના લાયસન્સ પણ 6 મહિના માટે રદ કરવામાં આવ્યા છે. શાંતા પાનસુરિયા અને એચ.એમ. માંગુકિયાએ તક્ષશિલા આર્કેડની ઈમ્પેક્ટ ફીનું કામ કર્યું હતું. બંનેને ત્રીજા માળની ઈમ્પેક્ટ ફીની મંજૂરી માટે આર્કિટેક્ટ તરીકે નિમાવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કમિશનરે આદેશ કરતા બંનેના 6 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને કાયમી ધોરણે લાયસન્સ રદ કરવાની નોટિસ આપવામાં આવી છે.

(5:39 pm IST)