ગુજરાત
News of Tuesday, 29th May 2018

ભરૂચ-વડોદરા નેશનલ હાઇવે પર સમારકામ કરતા શ્રમિકને ટ્રકે ટક્કર મારતા કરૂણમોત

ભરૂચ-વડોદરા નેશનલ હાઈવે નંબર 48 ઉપર એલ એન્ડ ટી કંપની દ્વારા રસ્તાનું સમારકામ ચાલી રહ્યું છે.રાત્રિનાં સમયે કામ કરી રહેલા શ્રમિકો પૈકી એક શ્રમિકને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં ગંભીર ઈજાને પગલે મોત નિપજ્યું હતું. જે અંગેની જાણ પાલેજ પોલીસ મથકે કરવામાં આવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  ભરૂચ વડોદરા નેશનલ હાઈવે 48 ઉપર અસુરિયા પાટીયા પાસે રસ્તાનું ચાલતા સમારકામ દરમિયાન રાત્રિના અંદાજે 2.30 કલાકનાં અરસામાં હોટલ શીવકૃપા પાસે એલએન્ડ ટી કંપનીનાં રવિન્દ્રસિંહ પઢિયાર, દિપેન શેઠ, દિલીપ પાટણવાડીયા અને કમરૂદ્દિન સૈયદ કામ કરી રહ્યા હતા. તેમની પાસે કંપનીનું વાહન જીનીયો જીજે- 03, એડબ્લ્યુ 6426 હતી. જે રસ્તાની બાજુમાં પાર્ક કરીને કામ કરી રહ્યા હતા. દરમિયાન અંધારામાં ધસી આવેલી ટ્રક નંબર આરજે- 11, જીબી 0643ના ચાલકે પાળછથી જીનિયોને જોરદાર ટક્કર મારતાં કામ કરી રહેલા લોકોમાં ભારે દોડધામ મચી હતી. અને જીવ બચાવવા માટે દોડ્યા હતા.

  આ સમયે રવિન્દ્રસિંહ જયપાલસિંહ પઢિયાર વધુ ગભરાઈ જતાં હાઈવેનાં બીજા ટ્રેક ઉપર દોડી ગયા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટે લેતાં ગંભીર ઈજા થઈ હતી. જેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બાબતની જાણ સાથે કામ કરી રહેલા અન્ય લોકોએ પાલેજ પોલીસને કરતાં સ્થળ ઉપર પહોંચી પોલીસે લાશનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:10 pm IST)