ગુજરાત
News of Thursday, 29th April 2021

વડોદરા:મૈત્રી કરારથી રહેતા યુવક-યુવતીએ અગમ્ય કારણોસર ફાસો ખાઈ જીવન ટુંકાવતા અરેરાટી

વડોદરા: શહેરમાં લગ્નની ઉંમર થઇ હોય મૈત્રી કરાર કરીને સાથે રહેતા યુગલ પૈકી યુવકે અગમ્ય કારણસર ફાંસો ખાઇ લીધો હતો.સારવાર માટે તેને હોસ્પિટલમાં લઇ ગયા બાદ ડોક્ટરે તેને મૃત જાહેર કરતા યુવક સાથે મૈત્રી કરાર કરીને રહેતી યુવતી બેભાન થઇને ઢળી પડી  હતી.અને તેને પણ સારવાર માટે દાખલ કરવાનો વારો આવ્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામે રહેતા ૨૧ વર્ષના યુવરાજસિંહ સોમસિંહ પઢિયારને બે વર્ષ પહેલા ગોધરાની ભગવતી નિનામા નામની  યુવતી સાથે સોશિયલ મીડિયા મારફતે પરિચય થયો હતો.અને ત્યારબાદ બંને વચ્ચે સતત થતી વાતચીતના કારણે પ્રેમસંબંધ બંધાયો  હતો.બંનેના  પરિવારજનો લગ્ન માટે તૈયાર હતા.પરંતુ,છેલ્લા એક વર્ષથી તેઓ મૈત્રી કરાર કરીને રહેતા હતા.કારણકે લગ્ન માટે યુવરાજની ઉંમર ૨૧ વર્ષની થઇ નહતી.છેલ્લા ત્રણ મહિનાથી  પ્રેમી પંખીડા માંજલપુરની કલ્યાણબાગ સોસાયટીમાં ભાડેથી  રહેતા  હતા.યુવતીનો ડિપ્લોમા સિવિલ એન્જિનિયરનો અભ્યાસ  ચાલુ હતો.જ્યારે યુવક વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસે આવેલા જગદીશ ફરસાણમાં નોકરી કરતો  હતો.ગઇકાલે રાતે આઠ વાગ્યે તે નોકરી પરથી પરત આવ્યો  હતો.દરમિયાન તેની  પ્રેમિકા નજીકમાં આવેલી દુકાનમાં સામાન લેવા ગઇ  હતી. સામાન લઇને પરત આવી ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો.અને યુવરાજસિંહે ઘરમાં પંખા પર ઓઢણી વડે ફાંસો ખાઇ લીધો હતો.જેથી,તેણે બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા  હતા.યુવરાજના ભાઇને  ફોન કરીને જાણ કરવામાં આવતા તે પણ દોડી આવ્યો હતો.અને યુવરાજને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ ગયો હતો.પરંતુ,ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.યુવરાજના મોતની વાત સાંભળીને પ્રેમિકા  ત્યાં ઢળી પડી હતી.બેભાન થઇ ગયેલી યુવતીને  પણ સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.

(4:37 pm IST)