ગુજરાત
News of Sunday, 29th March 2020

ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિને ધ્‍યાનમાં રાખી સરકારે અમદવાદમાં ૧૦૯ ટન ખાંડનો જથ્‍થો મંગાવ્‍યો

 અમદાવાદ : હાલમાં ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિ છે ત્યારે કટોકટીના સમયે પહોંચી વળવા માટે તંત્ર દ્વારા અમદાવાદમાં 109 ટન ખાંડનો જથ્થો સુરતથી મંગાવવામાં આવ્યો છે. સરકાર દ્વારા જે રાશન આપવામાં આવી રહ્યું છે તેમાં આ ખાંડનો ઉપયોગ કરવામાં આવશે. આ જથ્થો શહેરના શાહીબાગ વિસ્તારમાં સરકારી ગોડાઉનમાં ઉતારવામાં આવશે. આગામી દિવસમાં હજુ વધુ જથ્થો અમદાવાદમાં ઉતારવામાં આવશે.

નોંધનીય છે કે લોકડાઉન દરમિયાન જીવન જરૂરી ચીજવસ્તુઓ જેવી કે અનાજ-કરીયાણાની દુકાન- મોલ ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા ડી માર્ટ, ઓશિયા માર્ટ, બિગ બજાર અને રિલાયન્સ સહિતના તમામ 36 મોલ અને સ્ટોરને બંધ રાખવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ સ્ટોરને હવે માત્ર હોમ ડિલિવરી માટે જ ખુલ્લા રાખી શકાશે. અલગ અલગ વિસ્તાર અનુસાર તમામ સ્ટોર બંધ રાખવા માટે નામ સાથે આદેશ આપવામાં આવ્યા છે.

વૈશ્વિક મહામારી કોરોનાથી બચવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન છે. જેના કારણે સમગ્ર દેશમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. 4થી વધારે લોકોનાં એકત્ર થવા પર પ્રતિબંધ છે. અમદાવાદનાં અલગ અળગ પોલીસ સ્ટેશનમાં જાહેરનામાના ભંગ હેઠલ 35 થી વધારે ગુના દાખલ થયા છે. આ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

(11:42 am IST)