સાસરિયાના ત્રાસથી કંટાળી મેઘરજના ઉન્ડવાની પરિણીતાએ કુવામાં જંપલાવ્યું
મેઘરજ:તાલુકાના ઉન્ડવા ગામે એક પરણેતર મહિલાએ સાસરીયાના ત્રાસના કારણે કુવામાં પડી આપઘાત કર્યાના બનાવે મેઘરજ પોલીસ સ્ટેશને પતિ, સાસુ, સસરા સામે ફરિયાદ નોંધાઈ છે.
મેઘરજ તાલુકાના ઉન્ડવા ગામના તળાવ ફળિયામાં રહેતા શંકરભાઈ અરજનભાઈ ડામોરની પુત્રી મંજુલાબેનના લગ્ન રાજસ્થાનના શિમલવાડા પોપટભાઈ મારીવાડ સાથે કરવામાં આવ્યા હતા. પતિ પોપટભાઈ મારીવાડ અવારનવાર શારીરિક-માનસિક ત્રાસ આપી રસોઈ બનાવતા આવડતું નથી તેવા મહેણા મારી મારઝૂડ કરતો હતો. આ પરિણીતા શારીરિક ત્રાસના કારણે અવારનવાર ઉન્ડવા ખાતે જતી રહેતી હતી સાથે સાસુ-સસરા પણ પુત્રને અવારનવાર ચઢામણી કરતા હતા, જેથી આ ગઈકાલે પોતાના પિયર ઉન્ડવા ખાતે કુવામાં પડી આપઘાત કરી લીધો હતો.
આ અંગે પિયરીયાઓએ શોધખોળ આદરી હતી. પરંતુ આ મહિલા પટેલના કુવાની આગળ તેની ચંપલ મળી આવતા અંતે કુવામાં નજર કરતા આ મહિલાની લાશ મળી આવી હતી. આ અંગે આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા. મેઘરજ પોલીસને જાણ કરતા મેઘરજ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. મહિલાના મૃતદેહને પી.એમ. કરાવી શંકરભાઈ ડામોરે મેઘરજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી પીએસઆઈ કેતન વ્યાસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.