મેં સીઆર પાટીલને ફોન કરીને કહ્યું કે, આ બે દીકરાઓની ચિંતા આપણે કરવાનીઃ નરેન્દ્રભાઈ
અવિ અને જય નામના બન્ને આદીવાસી બાળકોને વડાપ્રધાન મોદી રૂબરૂ મળ્યાઃ બન્ને બાળકોના માતા-પિતા ગુજરી ગયા છે
રાજકોટઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હાલ ગુજરાતમાં છે. દરમ્યાન, આજે નેત્રંગમાં તેમણે એક જાહેરસભા સંબોધી હતી. આ સભામાં પીએમ મોદીએ બે બાળકોનો ઉલ્લેખ કર્યો હતો, જેણે તમામનું ધ્યાન ખેંચ્યું છે. આ બે આદિવાસી બાળકો જય અને અવિ સગા ભાઈઓ છે, જેમને સભા પહેલાં પીએમ મોદી વ્યક્તિગત મળ્યા હતા અને ત્યારબાદ સભામાં પણ તેમની વાત કરી હતી.
આ બે ભાઈઓમાંથી અવિ નવમા ધોરણમાં જ્યારે જય છઠ્ઠા ધોરણમાં ભણે છે. આ બંને સગા ભાઈઓ છે. તેઓ સુરત જિલ્લાના માંડવીના કાંકરાપાર ગામે રહે છે. બંનેના મા-બાપ છ વર્ષ પહેલાં કોઈ બીમારીના કારણે ગુજરી ગયાં હતાં. ત્યારથી આ બંને ભાઈઓ એકલા જ રહેતા હતા અને જાતે જ બધાં કામો કરી, ભોજન પણ બનાવતા અને બંને એકબીજાને અભ્યાસમાં મદદ કરતા હતા.
પીએમ મોદીને આ બંને બાળકો વિશે એક વિડીયો જોઈને ખબર પડી હતી. પીએમ મોદીએ કહ્યું કે, તેમને ખજૂરભાઈનો વિડીયો જોઈને આ બાળકો વિશે જાણકારી મળી હતી. તેમણે સભામાં કહ્યું, ‘વિડીયો મારા ધ્યાને આવ્યો અને મને થયું કે આ દશા? મેં સીઆર પાટીલને ફોન કરીને કહ્યું કે, આ બે દીકરાઓની ચિંતા આપણે કરવાની.'
વડાપ્રધાને આગળ કહ્યું, ‘તમને જાણીને આનંદ થશે, મારા બે આદિવાસી દીકરાઓ, જેમને મા-બાપ નથી...દિલ્હીમાં હું બેઠો હતો, તેમને ખોટ ન સાલવા દીધી. ઘર બનાવી દીધું. ઘરમાં પંખો, કમ્પ્યુટર, ટીવી બધી વ્યવસ્થા થઇ ગઈ. એટલે આજે એ બાળકો મળવા આવ્યા હતા.'
તેમણે આગળ કહ્યું કે, ‘મેં તેમને પૂછયું કે શું કરવું છે? તો એકે કહ્યું કે મારે કલેક્ટર બનવું છે અને બીજાએ કહ્યું કે મારે એન્જીનીયર બનવું છે. જેમના મા-બાપ નથી, જેમણે જાતે મહેનત કરીને, રોટલા શેકીને છ વર્ષની ઉંમરે જિંદગી શરૂ કરી છે, એ છોકરાઓ આજે દેશના પ્રધાનમંત્રીની બાજુમાં ઉભા રહીને સંકલ્પ અને સપનાં જોતા હોય તો મને પણ મારી જાત ઘસવાનો આનંદ આવે છે.'
પીએમ મોદી સાથેની મુલાકાત બાદ અવિ અને જય બંને બાળકોએ કહ્યું કે, સાહેબ અમને બહુ દૂરથી મળવા આવ્યા, અમારા માટે સમય કાઢયો, ખૂબ મજા આવી. તેણે આગળ કહ્યું કે, મોદી સાહેબે અમને મોટી સ્કૂલમાં ભણીને મોટામાં મોટી નોકરી કરવા માટે કહ્યું. અમને બહુ આનંદ થયો.